જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-૬ પ્રવેશ પરીક્ષા ૨૦૨૭ માટે અરજી કરવાની મુદ્દતમાં થયો ફરી વધારો
ગાંધીનગર તા.૦૮ જુલાઈ –
આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮ માં પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, સામેત્રીમાં ધોરણ-૬ માં પ્રવેશ મેળવવા માટે યોજાનારી પ્રવેશ પસંદગી પરીક્ષા સંબંધિત ઓનલાઈન અરજી કરવાની મુદતમાં જાહેર હિતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે તા. ૧૦ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ધોરણ-૬ માં પ્રવેશ માટેની પસંદગી પરીક્ષા ૨૮ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ યોજાશે. જેમાં ગાંધીનગર જિલ્લાની સરકારી અથવા સરકારી માન્યતા પ્રાપ્ત શાળામાં વર્તમાન શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં ધોરણ-૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકશે. આ સાથે જે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી છે, તેમના માટે સુધારા વિન્ડો તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ થી ૧૨ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ૦૨ દિવસ ખુલ્લી રહેશે. નોંધાયેલા ઉમેદવારો માત્ર લિંગ, ક્ષેત્ર, કેટેગરી, અક્ષમતા, અને પરીક્ષાના માધ્યમ જેવી વિગતોમાં જ સુધારો કરી શકશે.
ઓનલાઈન અરજી કરવા માટેની લિંક/વેબસાઈટ https://cbseitms.rcil.gov.in/nvs અને અન્ય તમામ વધુ માહિતી માટે નવોદય વિદ્યાલય સમિતિની સત્તાવાર વેબસાઈટ https://navodaya.gov.in ની મુલાકાત લેવા જણાવવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓના વાલીઓને સમયસર ઓનલાઈન ફોર્મ ભરી આ સુવર્ણ તકનો લાભ લેવા પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય, સામેત્રી(દહેગામ)ના આચાર્યશ્રીની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

