શિક્ષણ, ગૌ-સેવા અને પ્રાકૃતિક કૃષિ સમૃદ્ધિનો સુંદર સમન્વય
સરકારી શાળાના આચાર્ય, ગૌ-પ્રેમી અને જમીન સાથે જોડાયેલા વાસણા ચૌધરીના ખેડૂત શ્રી અલ્પેશભાઈ પટેલે સાબિત કરી બતાવ્યું છે કે જો પરંપરાગત ખેતીમાં આધુનિક વિચાર, પ્રાકૃતિક પદ્ધતિ અને મૂલ્ય વર્ધન ઉમેરવામાં આવે તો ખેતી ઉત્તમ અને આર્થિક રીતે અત્યંત સમૃદ્ધ વ્યવસાય બની શકે છે. મહુન્દ્રા ગામમાં પોતાની ૧૨ એકર જમીનમાં ૨૦૧૮-૧૯થી પ્રાકૃતિક ખેતી કરી રહેલા અલ્પેશભાઈ આજે રાજ્યના અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. અલ્પેશભાઈ મુખ્યત્વે મગફળી, બાજરી અને બટાકા જેવા પાકોનું સંપૂર્ણપણે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદન કરે છે. તેમણે પોતાના ખેતરમાં જ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, “અમે ખેતરમાં રાસાયણિક ખાતરો કે પેસ્ટિસાઇડ્સનો એક પણ રૂપિયો ખર્ચતા નથી. બાયોગેસ પ્લાન્ટમાંથી મળતી સ્લરી અને ગૌમૂત્ર, અને ઘન જીવામૃત જ અમારા ખેતરનું મુખ્ય પોષણ છે. આનાથી જમીનની ફળદ્રુપતા વધવાની સાથે ઉત્પાદન ખર્ચ સાવ નહિવત્ થઈ જાય છે અને પાકની ગુણવત્તા શ્રેષ્ઠ મળે છે.”
અલ્પેશભાઈએ માત્ર પાક પકવવા પૂરતું સીમિત ન રહેતાં, ગ્રાહકો સુધી સીધા પહોંચવા માટે ‘સુરભી કલ્ચર ઓર્ગેનિકસ’ બ્રાન્ડની શરૂઆત કરી. પોતાના માર્કેટિંગ મોડેલ વિશે વિગત આપતાં અલ્પેશભાઈએ ઉમેર્યું કે, “આજે શહેરોમાં લોકોને શુદ્ધ અને ઝેરમુક્ત ખોરાક જોઈએ છે. અમે ‘ફેમિલી ફાર્મર’ કોન્સેપ્ટ અપનાવ્યો, જેમાં અનેક પરિવારો સીધા જ અમારા ફાર્મ સાથે જોડાયા છે. ગ્રાહકોને સીધું જ શુદ્ધ ઉત્પાદન મળે છે અને અમને વચેટિયાઓ વગર પૂરા ભાવ મળે છે. આ ઉપરાંત, મારી બ્રાન્ડ હેઠળ હું ગુજરાતના અન્ય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોનું પણ વેચાણ કરાવી આપું છું, જેથી તેમને પણ યોગ્ય બજાર મળી રહે.”
પાકનું મૂલ્ય વર્ધન કરવા માટે અલ્પેશભાઈએ ખેતીવાડી વિભાગની પાક મૂલ્ય વૃદ્ધિ યોજનાનો લાભ પણ લીધો અને ખેતર પર જ ‘મીની ઓઇલ મિલ’ પ્રોસેસિંગ યુનિટ શરૂ કર્યું. પ્રોસેસિંગ યુનિટના અનુભવ અંગે તેમણે જણાવ્યું કે, “સરકારની યોજનાથી મળેલા પ્રોસેસિંગ યુનિટ દ્વારા અમે મગફળીનું વેચાણ સીધું કરવાને બદલે તેમાંથી શુદ્ધ તેલ બનાવવાનું શરૂ કર્યું. માત્ર એક જ સિઝનમાં અમે અંદાજે ૫૦ ડબ્બા તેલનું સીધું વેચાણ કર્યું છે. મગફળી સીધી વેચવા કરતાં આ રીતે તેલ બનાવીને વેચવાથી આવક બમણી થઈ જાય છે. શિક્ષણ, ગૌ-સેવા, પ્રાકૃતિક ખેતી અને પ્રોસેસિંગ મોડેલનો સુંદર સમન્વય સાધીને અલ્પેશભાઈ પટેલ ખેતી અને મૂલ્ય વર્ધન દ્વારા વાર્ષિક રૂ. ૨૦ લાખની કમાણી કરી રહ્યા છે. અલ્પેશભાઈની આ સફળતા સાબિત કરે છે કે નવીન સોચ, મહેનત અને સરકારી યોજનાઓનો સાચો ઉપયોગ કરીને ખેડૂત માત્ર ઉત્પાદક જ નહીં, પણ પોતાની ઉપજનો સફળ વેપારી પણ બની શકે છે.

