ગુજરાત

સુરત મ્યુનિસિપલ કમિશનરની બદલી, એક જ ઓર્ડરમાં 2 IAS અધિકારીઓની કરાઈ બદલી

ગાંધીનગર: ગુજરાત સરકારે 11 ઓગસ્ટ 2026ના રોજ IAS અધિકારીઓની બદલીનો મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. એક જ સિંગલ ઓર્ડર મારફતે ત્રણ IAS અધિકારીઓની જવાબદારીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આદેશ મુજબ સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજન એમ., IASની બદલી કરી તેમને સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જ્યારે શ્રી રણજીત કુમાર જે., IAS, જેઓ અગાઉ સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર, સમગ્ર શિક્ષા અભિયાન તરીકે ફરજ બજાવતા હતા, તેમની બદલી કરી ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC), ગાંધીનગરના સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે નાગરાજનની બદલી બાદ સુરત કલેક્ટર તેજસ દિલીપભાઈ પરમાર, IASને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકા તાજેતરમાં દબાણ હટાવવાની કાર્યવાહી અને નાસિરનગર ડિમોલિશન મામલે ભારે ચર્ચામાં રહી હતી. નાસિરનગર વિસ્તારમાં 100થી વધુ માળખાં તોડી પાડવાના મામલે મહાનગરપાલિકા અને અન્ય તંત્રોની ભૂમિકા અંગે સવાલો ઉઠ્યા હતા. મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ SMCના કેટલાક અધિકારીઓ સામે કાર્યવાહી પણ થઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે હવે સુરત મ્યુનિસિપલ કમિશનરની બદલી થતાં વહીવટી વર્તુળોમાં પણ આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જોકે, સરકારના સત્તાવાર બદલી આદેશમાં નાગરાજનની બદલીનું કારણ દર્શાવવામાં આવ્યું નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *