એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનના ગુજરાત પ્રદેશના પ્રમુખપદે વરિષ્ઠ પત્રકાર પદ્મકાંત ત્રિવેદીની વરણી
ગાંધીનગર : એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરિષ્ઠ પત્રકાર તથા વીઆર લાઈન ન્યૂઝ ચેનલના ડિરેક્ટર શ્રી પદ્મકાંત ત્રિવેદીની વરણી કરવામાં આવી છે. ગુજરાત એસોસિએશનની કારોબારી રચના સાથે સંગઠનના કાર્યક્ષેત્રમાં ગુજરાતનો સમાવેશ થતાં પત્રકાર આલમમાં આનંદની લાગણી જોવા મળી હતી. આ વરણીની જાહેરાત નેશનલ એક્ઝિક્યુટિવ મેમ્બર શ્રી લક્ષ્મણ પટેલ દ્વારા રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખની સૂચનાનુસાર કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના અગ્રણી વરિષ્ઠ પત્રકાર શ્રી વિપુલ બ્રહ્મભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું આયોજન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કેમ્પસ ખાતે આવેલા શ્રી બ્રહ્માણી હોલમાં કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી દૈનિક, સાપ્તાહિક અને પાક્ષિક અખબારો સાથે સંકળાયેલા તથા સરકાર માન્ય એક્રેડિટેશન કાર્ડ ધરાવતા પત્રકારમિત્રોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પત્રકારોએ સંગઠન પ્રત્યે સમર્પિતતાનો ભાવ વ્યક્ત કરી ભવિષ્યમાં ખભેખભા મિલાવીને પત્રકારોના હિત માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. પદ્મકાંત ત્રિવેદીની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થતાં ઉપસ્થિત પત્રકારોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું હર્ષભેર સ્વાગત અને અભિનંદન કર્યું હતું.
આ પ્રસંગે શ્રી રાજેન્દ્રભાઈ લીંબાચીયા દ્વારા ઉપસ્થિત તમામ પત્રકારમિત્રો માટે સ્નેહભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. કડી સર્વ વિશ્વ વિદ્યાલયના ચેરમેનશ્રી અનિવાર્ય સંજોગોને કારણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા, પરંતુ તેમણે પત્રકારોના હિતમાં હંમેશા સાથ-સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. પત્રકારોને પડતી વિવિધ સમસ્યાઓ અને મુશ્કેલીઓ અંગે પણ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવી હતી. પત્રકારોના પ્રશ્નો અને રજૂઆતોને એકત્રિત કરી ઉચ્ચ કક્ષાએ રજૂઆતોના માધ્યમથી યોગ્ય નિરાકરણ લાવવા માટે સંસ્થાના હોદ્દેદારોએ બાંહેધરી આપી હતી.
એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિજયશંકર ચતુર્વેદી (દિલ્હી) અને *સેક્રેટરી જનરલ શ્રી કવડલે ચન્નાપ્પા (કર્ણાટક)*ના વડપણ હેઠળ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કાર્યરત છે. ગુજરાતમાં પણ હવે એસોસિએશનની કારોબારી રચના કરવામાં આવતા સંગઠનનું નેટવર્ક વધુ મજબૂત બનશે. આવનારા સમયમાં એસોસિએશનના નવા હોદ્દેદારોની શપથવિધિ તથા પત્રકાર સન્માન સમારોહનું વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કુંતલભાઈ નિમાવત દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં વધુ એક્રેડિટેશન કાર્ડધારક પત્રકારો તથા તંત્રીમિત્રોને સંગઠન સાથે જોડાઈ પત્રકારોના હિતમાં એકજૂથ થઈ કાર્ય કરવા માટે અપીલ કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં એસોસિએશનની કારોબારી રચના સાથે પત્રકારોના પ્રશ્નોને સંગઠિત રીતે રજૂ કરવા તથા પત્રકારિત્વ ક્ષેત્રે સતત અને સખત યોગદાન આપતા પત્રકારોના સન્માન માટે એક નવી દિશા નિર્ધારિત થઈ હોવાનું ઉપસ્થિત પત્રકારોએ જણાવ્યું હતું.

