ગાંધીનગર જિલ્લાના નાગરિકોને ‘મેગા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ’માં જોડાઈ મહાદાન કરવા કલેક્ટરશ્રી અને આરોગ્ય તંત્રની અપીલ
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તારીખ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સમગ્ર જિલ્લામાં ‘મેગા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ’ નું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. “રક્તદાન એ જ મહાદાન”ના સૂત્રને સાર્થક કરવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તે હેતુથી યોજાઈ રહેલા આ સેવા યજ્ઞમાં જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો અને સામાજિક સંસ્થાઓ ઉત્સાહભેર ભાગ લે તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. આ રક્તદાન ઝુંબેશ અંતર્ગત સમગ્ર ગાંધીનગર જિલ્લામાંથી ૧૨૦૦ યુનિટ રક્ત એકત્રિત કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
જિલ્લાના ચારેય તાલુકાઓમાં નાગરિકોની સુવિધા માટે વિશેષ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં કલોલ તાલુકામાં સીએચસી કલોલ-મામલતદાર કચેરી પાસે અને કેઆઈઆરસી કેમ્પસ આયુર્વેદિક કોલેજ, ગાંધીનગર તાલુકામાં હીરામણી આરોગ્ય સંકુલ અડાલજ, માણસા તાલુકામાં શ્યામ રથ, ધારાસભ્ય શ્રી જે. એસ. પટેલનું કાર્યાલય રાજપુરા રોડ તથા દહેગામ તાલુકામાં સીએચસી દહેગામ ખાતે રક્તદાન સત્રોનું આયોજન કરાયું છે.
રક્તદાન એ માત્ર એક દાન નથી પરંતુ કોઈનો મૂલ્યવાન જીવ બચાવવાનું પવિત્ર કાર્ય છે. આપણા દ્વારા આપવામાં આવેલું એક યુનિટ રક્ત કોઈ અકસ્માત પીડિત, કેન્સરના દર્દી કે થેલેસેમિયાથી પીડાતા બાળક માટે જીવનદાન બની શકે છે. આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપી માનવતાના આ યજ્ઞને સફળ બનાવવા ગાંધીનગર જિલ્લાના તમામ સ્વસ્થ નાગરિકોને નિર્ધારિત સ્થળોએ ઉપસ્થિત રહી સ્વેચ્છાએ રક્તદાન કરવા જિલ્લા વહીવટી તથા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારાતંત્ર તરફથી નમ્ર વિનંતી છે.

