ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં પોર્ટલ ગૃહ રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં લોન્ચ કર્યા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવો લાવીને સ્ટ્રીટ સ્પેસથી લઈને સાયબર સ્પેસ સુધી ગુનાખોરી ડામવા માટેની ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં બે પોર્ટલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોન્ચ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી સરકારી કચેરીઓમાં લોકોની વિશ્વસનિયતા વધે અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તેવા આશયથી આ પોર્ટલ લોન્ચ કર્યા હતા.
આ પોર્ટલ લોન્ચ થવાના પરિણામે સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશન જવામાંથી રાહત આપતી ઓનલાઇન સુવિધાઓ ઇઝ ઓફ ગવર્નન્સના અંતર્ગત મળતી થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ “તેરા તુઝકો અર્પણ” નો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
એટલું જ નહીં, નાણાંકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદોના આધારે ફ્રિઝ થયેલા બેંક ખાતાને પુનઃ કાર્યરત અનફ્રિઝ કરાવવા માટેની ઓનલાઇન એપ્લિકેશન અને પોલીસમાં FIR દાખલ કરનાર ફરિયાદીને તપાસની પ્રગતિથી અપડેટ રાખતા I-PRAGATI પોર્ટલ પણ તેમણે લોન્ચ કર્યા હતા.
*i-PRAGATI પોર્ટલ*
ઇ-ગુજકોપમાં તપાસના દરેક તબક્કે ફોર્મ ભરવાનું થતું હોય છે તેમાં FIR દાખલ કરતી વખતે, પંચનામું કરતી વખતે, આરોપીને અટક કરતી વખતે અને કેસની ચાર્જશીટ કરતી વખતે અલગ-અલગ ફોમર્સનો સમાવેશ થાય છે.
હવે સ્ટેટ ક્રાઈમ રેકર્ડ બ્યુરો(એસ.સી.આર.બી.) તરફથી ઈ-ગુજકોપમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, આ ચારે તબક્કાની કામગીરી જયારે પણ પૂર્ણ થાય ત્યારે દાખલ થયેલી FIRના ફરીયાદીને સિસ્ટમ જનરેટેડ એસ.એમ.એસ. મળી જાય છે. આથી ફરીયાદી તપાસની પ્રગતિથી સંપૂર્ણપણે વાકેફ રહે છે.
આ સિસ્ટમ I-PRAGATI એટલે કે, ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રેસ રિપોર્ટ થ્રુ ઓટોમેટીકલી જનરેટેડ એકયુરેટ એન્ડ ટાઇમલી ઇન્ફોર્મેશનનો પાયલેટ પ્રોજેકટ સફળતાપૂર્વક પૂર્ણ કરીને હવે તેનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વહિવટી કાર્ય સંસ્કૃતિમાં ગુડ ગવર્નન્સ, ટ્રાન્સપેરન્સી અને લેસ હ્યુમન ઈન્ટરફીયરન્સનો જે ધ્યેય રાખ્યો છે તે આ પોર્ટલ દ્વારા ગૃહ વિભાગ સાકાર કરશે.
*સાયબર ક્રાઈમ રિફંડ પોર્ટલ “તેરા તુઝકો અર્પણ”*
કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમીત શાહે તા.૦૩/૧૦/૨૦૨૪ના રોજ “તેરા તુઝકો અર્પણ” પોર્ટલનુ અમદાવાદ શહેર ખાતે અનાવરણ કર્યુ હતું. સાયબર ક્રાઈમના ભોગ બનેલા નાગરીકોએ ગુમાવેલા નાણાંને લોક અદાલત દ્વારા પરત અપાવવાની કામગીરી વધુ ઝડપી બને તેવા ઉદ્દેશ્યથી આ પોર્ટલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર દ્વારા બનાવવામાં આવેલું છે. આ પોર્ટલથી નાગરિકોને અને પોલીસ સ્ટેશન બન્નેને ફાયદો થાય છે.
*નાગરિકોને આ પોર્ટલથી થતા લાભ:*
* ઓનલાઈન નોંધણી અને રીઅલ-ટાઈમ સ્ટેટસ ટ્રેકિંગથી નાગરિકોને સરળ અને ઝડપી રિફંડ પ્રક્રિયા છે.
* FIR વિના સાયબર ગુનામાં ગુમાવેલાં નાણાં પરત મેળવવાની સુવિધા, જનતા માટે અનુકૂળ અને સુલભ છે.
* ઝડપી કોર્ટ આદેશ અને ઓટોમેટેડ પ્રક્રિયાથી નાગરિકોનો સમય બચે છે અને પોલીસ સ્ટેશન વારંવાર આવવું પડતુ નથી.
*પોલીસ સ્ટેશનને આ પોર્ટલથી થતા લાભ:*
* દરેક પોલીસ સ્ટેશનને અલગ યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા ડેટાનું સચોટ ટ્રેકિંગ અને રીઅલ-ટાઈમ મોનિટરિંગ શક્ય.
* ઓટોમેશનથી રિફંડ પ્રક્રિયાના પત્રો આપોઆપ તૈયાર થાય, જેનાથી મેનપાવર ઘટે છે અને ચોકસાઈ વધે છે.
* અરજદાર રિફંડની પેપર વર્કની પ્રકિયા 2 થી 3 કલાક લાગતો સમય હવે માત્ર 15 મિનિટ થતા નાગરોકોને સીધો ફાયદો થશે પોલીસ સ્ટેશનમાં પેન્ડિંગ ઘટશે અને એકયુરેસિ વધશે.
*અમદાવાદ શહેરની સફળતા:*
* પેન્ડિંગ અરજીમાં નોંધપાત્ર ઘટાડો થવાથી કાર્યક્ષમતામાં આશરે 50 % થી વધુ વધારો જોવા મળ્યો છે.
અમદાવાદ શહેર પોલીસને મળેલી આ સફળતાને પગલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં હવે આ પોર્ટલનો રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજ્યના તમામ પોલીસ મથકો માટે યુઝર આઈ.ડી. અને પાસવર્ડ બનાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેર પોલીસે સી.આઈ.ડી. ક્રાઈમના સંકલનથી આ પોર્ટલ લોન્ચ પહેલાં બધા જ પોલીસ મથકોને બે વાર ઓનલાઈન તાલીમ પણ આપેલી છે. આ પોર્ટલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે હવે સમગ્ર ગુજરાતમાં લોન્ચ થયુ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશન ફ્રિઝ થયેલ બેંક એકાઉન્ટ અનફ્રિઝ કરાવવા માટે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સી.આઇ.ડી. ક્રાઇમ, ગાંઘીનગર ખાતે ઓનલાઇન અરજી થઈ શકે તે હેતુથી બનાવવામાં આવી છે.
*અનફ્રિઝ એપ્લિકેશન*
નાણાંકીય સાયબર ક્રાઇમને લગતી ફરિયાદ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ પર નોંધાવતા સામેવાળાના બેંક એકાઉન્ટ NCRP પોર્ટલ દ્વારા BNSS 106 (CRPC 102) મુજબ ફ્રિઝ કરવામાં આવે છે તેથી ફ્રોડના નાણાં બચાવી શકાય છે.
રાજ્ય પોલીસ દ્વારા કાર્યરત થનારા આ અનફ્રિઝ ઓનલાઈન એપ્લિકેશનની મદદથી અરજદારે બેંક એકાઉન્ટ અનફ્રિઝ કરવાની અરજી માટે ભારતના અલગ-અલગ રાજ્યમાંથી રૂબરૂ હાજર રહેવાની જરૂર પડતી નથી. અરજદાર ઓનલાઇન અરજી કરી પોતાનો અરજી નંબર મેળવી શકે છે. અરજદાર પોતાના સંપર્ક નંબર, વોટ્સ એપ નંબર મારફતે ઘરેબેઠાં જ અરજીનું ફોલોઅપ સ્ટેટસ જાણી શકે છે.
આ એપ્લિકેશન મારફતે અરજદારને ઇ-મેઇલ દ્વારા પોતાના બેંક એકાઉન્ટ અનફ્રિઝ અંગેની જાણ કરવામાં આવે છે જેથી અરજદારને ટેલીફોનિક કોલ કે અન્ય રીતે સંપર્ક કરવાની જરૂર રહેતી નથી.
આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને અરજદાર જાતે ઓનલાઇન અરજી કરી શકે છે એટલે અન્ય કોઇ માણસની જરૂરિયાત રહેતી નથી તેમજ સમય અને નાણાંનો વ્યય થતો નથી અને સંપૂર્ણ કાર્યવાહીમાં પારદર્શકતા જળવાઇ રહે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પોર્ટલ લોન્ચ કરતાં સ્પષ્ટપણે જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટેક્નોલોજીના માધ્યમથી નાગરિકોની સેવા અને દેશની સુરક્ષાનો અભિગમ અપનાવ્યો છે તેને આપણી સેનાએ ઓપરેશન સિંદૂરમાં ટેક્નોલોજીના ઉપયોગથી સફળતા મેળવીને સાકાર કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, ટેક્નોલોજીની મદદથી ગુનાઓ રોકવા, શોધવા અને પ્રોસિક્યુશન તથા ઈન્વેસ્ટિગેશન ઝડપથી પૂર્ણ થવા સાથે ગુનેગારોને ઝડપી સજા થાય તે પણ વડાપ્રધાનશ્રીએ નવા કાયદાઓમાં સુનિશ્ચિત કર્યુ છે.
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોને સૌથી વધુ જે મુદ્દે પોલીસ અને પ્રજાના પ્રતિનિધિશ્રીઓ પાસે ધક્કા ખાવા પડતા હોય છે તે, પોલીસ સ્ટેશનમાં પોતે કરેલી ફરિયાદની તપાસ અને તેની પ્રગતિની જાણકારીનો મુદ્દો છે. છેલ્લા બે વર્ષમાં લોકોની આ સમસ્યાને અમે અનુભવી છે અને તેને આધારે હવે ફરિયાદીને ઘરે બેઠા પોતાના મોબાઈલ પર જ FIR, પંચનામુ, આરોપી અટકાયત અને ચાર્જશીટ જેવી વિગતો SMS મારફતે સમયસર મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તેના માટે i Pragati પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાત સૌ પ્રથમ રાજ્ય છે જેને સાયબર ક્રાઈમ સંબંધિત લીધેલા સિટીઝન સેન્ટ્રીક નિર્ણયો થકી અન્ય રાજ્યોને પ્રેરણા આપી છે. ગુજરાત પોલીસે ઐતિહાસિક સવા બે લાખથી વધુ બેંક એકાઉન્ટ તો અનફ્રીઝ કર્યા જ છે, સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં એક એવી પોલિસી બનાવી કે રૂ.૫ લાખથી વધુ રકમની ઠગાઈ અથવા ૪થી વધુ ફરિયાદ દાખલ થઈ હોય તેવા એકાઉન્ટ જ ફ્રીઝ કરવા. સામાન્ય નાગરિકોની મૂડી ફસાઈ ન જાય તેની તકેદારી રાખી આ નિર્ણય લીધો હતો. હવે રૂપિયા અનફ્રીઝ કરવાની આ પ્રક્રિયામાં વધુ સરળતા લાવવા ખાસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સાયબર ક્રાઈમ થકી નાગરિકોએ ગુમાવેલા પૈસા સરળતાથી પરત મેળવી શકે તે માટે પણ સાયબર ક્રાઇમ રિફંડ પોર્ટલ નાગરિકોની સેવામાં મૂકવામાં આવ્યું છે. આ તમામ પોર્ટલ ભવિષ્યમાં ગુજરાત પોલીસના એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવા પણ કામગીરી પ્રક્રિયા હેઠળ છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાત ભારત દેશનું ગ્રોથ એન્જિન છે. સમગ્ર વિશ્વમાં ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી ભારત છે, અને ભારતમાં ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ સ્ટેટ ગુજરાત છે. તેનું મુખ્ય કારણ ગુજરાતની શાંતિ અને સલામતી છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ટેકનોલોજી આધારિત પોર્ટલ ભવિષ્યમાં રાજ્યના નાગરિકોને વધુ સરળતા પૂરી પડશે અને પોલીસ પ્રત્યે વિશ્વસનીયતા સંપાદિત કરશે.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ પ્રસંગે પ્રજાલક્ષી અભિગમને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ ત્રણેય પોર્ટલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પોર્ટલ લોન્ચીંગ અવસરે મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
——-