ભારતમાં કોરોના કેસોમાં વધારો: ૨૪ કલાકમાં ૩૫૮ નવા કેસ, સક્રિય કેસ ૬,૦૦૦ પાર, ગુજરાત મોખરે
નવી દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. સોમવારે (૯ જૂન, ૨૦૨૫) સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં ૩૫૮ નવા કેસ નોંધાયા છે, જેના કારણે સક્રિય કેસની સંખ્યા ૬,૪૯૧ પર પહોંચી ગઈ છે, જે ૬,૦૦૦નો આંકડો પાર કરી ગઈ છે.
સૌથી વધુ કેસ ગુજરાતમાં ૧૫૮ નોંધાયા છે, ત્યારબાદ કર્ણાટકમાં ૫૭, પશ્ચિમ બંગાળમાં ૫૪, અને દિલ્હીમાં ૪૨ કેસ સામે આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી કોઈ મૃત્યુ નોંધાયું નથી, અને ૬૨૪ દર્દીઓ સાજા થઈને ડિસ્ચાર્જ કરાયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોના સંબંધિત કુલ ૬૫ મૃત્યુ નોંધાયા છે. ૨૨ મે સુધી સક્રિય દર્દીઓની સંખ્યા ૨૫૭ હતી, જેમાં હવે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.