મુંબઈ લોકલ ટ્રેનની ભીડે લીધો પાંચનો ભોગ: રેલવે સલામતી માટે ઓટોમેટિક ડોર સિસ્ટમ લાગુ કરશે
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનમાં સોમવારે સવારે દીવા અને મુમ્બ્રા સ્ટેશન વચ્ચે એક કરુણ અકસ્માત સર્જાયો, જેમાં પાંચ મુસાફરોના મોત થયા. અતિશય ભીડને કારણે ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરી રહેલા આઠ લોકો નીચે પટકાયા હતા, જેમાં પાંચના ઘટનાસ્થળે જ જીવ ગયા અને અન્ય ઘાયલ થયા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ દુર્ઘટના બાદ રેલવે બોર્ડે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક પગલાં ભર્યા છે. બોર્ડ દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, મુંબઈમાં નિર્માણાધીન તમામ નવી ટ્રેનોમાં હવે ઓટોમેટિક દરવાજા બંધ કરવાની સુવિધા ફરજિયાતપણે સામેલ કરાશે. આ ઉપરાંત, હાલ કાર્યરત ટ્રેનોના કોચને પણ ફરીથી ડિઝાઇન કરીને તેમાં આ સુરક્ષા સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય ચાલતી ટ્રેનમાં ખુલ્લા દરવાજાને કારણે થતા અકસ્માતોને રોકવાનો અને મુસાફરોને લટકીને મુસાફરી કરતા અટકાવવાનો છે. આ ઘટનાથી સ્થાનિક ટ્રેન સેવાઓ પર અસર પડી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.