ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન: પેટાચૂંટણીમાં પરાજય બાદ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું
અમદાવાદ: ગુજરાતમાં આજે જાહેર થયેલા વિધાનસભાની બે પેટાચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યા છે. બંને બેઠકો પર મળેલી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નૈતિક જવાબદારી સ્વીકારી પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારને કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજીનામા બાદ ગોહિલે જણાવ્યું કે, “હું કોંગ્રેસ પાર્ટીનો સિપાહી છું. કડી અને વિસાવદરમાં સફળતા ન મળતાં, તેની નૈતિક જવાબદારી સ્વીકારી મેં ગણતરીના કલાકોમાં જ રાજીનામું આપ્યું છે. હું હંમેશા કોંગ્રેસના કાર્યકર તરીકે કામ કરતો રહીશ.” પેટાચૂંટણીમાં વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાએ 17,554 મતોથી, જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાએ 39,452 મતોના માર્જિનથી જીત મેળવી છે.