અમદાવાદ એર ઈન્ડિયા ક્રેશ: પ્રાથમિક રિપોર્ટ જાહેર, ઉડાન ભરતા જ એન્જિન બંધ થયા
અમદાવાદમાં ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ થયેલી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના અંગે AAIB (Aircraft Accident Investigation Bureau) એ પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે. આ ભયાનક દુર્ઘટનામાં એક સિવાયના તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનું મૃત્યુ થયું હતું. ૧૫ પાનાના આ રિપોર્ટમાં કેટલાક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે.
પ્રાથમિક તપાસ મુજબ, એર ઈન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના બંને એન્જિન ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડ બાદ બંધ થઈ ગયા હતા. રિપોર્ટ દર્શાવે છે કે, બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુલ કટઓફ સ્વિચ (fuel cutoff switch) એક જ સેકન્ડમાં ‘RUN’ થી ‘CUTOFF’ માં જતી રહી, જેના કારણે ઈંધણ મળતું બંધ થઈ ગયું. પાયલટે બીજા પાયલટને ‘સ્વિચ કટઓફ કેમ થઈ?’ તેવું પૂછતા, તેણે ‘મેં નથી કરી’ તેમ જવાબ આપ્યો. આ ઘટનાના ૫ સેકન્ડ બાદ વિમાનનો પાવર જતો રહ્યો અને Ram Air Turbine (RAT) એક્ટિવ થઈ ગયું. વિમાન માત્ર ૩૨ સેકન્ડ સુધી જ હવામાં રહી શક્યું અને રનવેથી ૧.૭ કિમી દૂર એક હોસ્ટેલ પર ક્રેશ થયું. બ્લેક બોક્સ (black box) ડેટા મુજબ, ટેકઓફ સમયે વિમાને પૂર્ણ ક્ષમતાથી ઉડાન ભરી હતી. પાયલટ ફિટ અને અનુભવી હતા, હવામાન સારું હતું, અને કોઈ માનવીય ભૂલના સંકેત મળ્યા નથી. આ માત્ર પ્રાથમિક રિપોર્ટ છે, અને વિસ્તૃત તપાસ હજુ ચાલુ છે.