ગુજરાતમાં PM-RAHAT યોજનાના અસરકારક અમલીકરણ માટે ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય વર્કશોપ યોજાયો
ગાંધીનગર તા.૦૬ માર્ચ- ગુજરાત રાજ્યમાં PM-RAHAT યોજનાના અસરકારક અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા ગાંધીનગર ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપનો શુભારંભ કરતાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનરશ્રી એસ.એ.પટેલ એ PM-RAHAT યોજનાનો સંક્ષિપ્ત પરિચય આપી જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત બાદ ગોલ્ડન અવરમાં મળતી સારવાર પીડિતનું જીવન બચાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે આ યોજનાનો લાભ રાજ્યભરમાં અસરકારક રીતે અકસ્માત પીડિતો સુધી પહોંચાડવા વિવિધ વિભાગો વચ્ચેના સુમેળ અને સંકલનને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઈ.જી. શ્રી નિનામાએ માર્ગ અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવા માટેની પ્રક્રિયામાં પોલીસ વિભાગની ભૂમિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અકસ્માતની માહિતી, દસ્તાવેજીકરણ તથા હોસ્પિટલ સાથેના સંકલન અંગે મહત્વપૂર્ણ મુદ્દાઓ સમજાવ્યા હતા. આ ઉપરાંત સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ એસ.પી. સાહિત્યા દ્વારા પણ યોજનાની કામગીરી અને અમલીકરણ સંબંધિત મુદ્દાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વર્કશોપ દરમિયાન માર્ગ અકસ્માત પીડિતોને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં મેડિકલ ટીમની ભૂમિકા અને જવાબદારીઓ અંગે પણ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ અકસ્માત પીડિતોને ગોલ્ડન અવર દરમિયાન તાત્કાલિક સારવાર મળી રહે અને માત્ર આર્થિક મુશ્કેલીના કારણે કોઈ વ્યક્તિએ જીવ ગુમાવવો ન પડે તે હેતુસર ભારત સરકાર દ્વારા PM-RAHAT યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ માર્ગ અકસ્માત પીડિતોને હોસ્પિટલમાં ૭ દિવસ સુધી રૂ.૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી તાત્કાલિક સારવાર માટે પૈસાની અછત અવરોધરૂપ ન બને અને દર્દીને જીવનરક્ષક સારવાર સમયસર મળી રહે. વર્કશોપમાં ગુજરાતના તમામ જિલ્લાઓના રોડ સેફ્ટી નોડલ અધિકારીઓ, ગુજરાત પોલીસ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

