૭૯માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ગાંધીનગરના રામકથા મેદાનમાં કરાશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી રામકથા મેદાનમાં સવારે ૯.૦૦ વાગ્યે કરવામાં આવશે. જેના સુચારું અમલીકરણ અંગે કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષસ્થાને સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી. આ તકે કલેકટર શ્રી દવેએ રાષ્ટ્રીય પર્વ ઉપર દેશભક્તિની સાથે યોગ અને વ્યાયામને પણ મહત્વ આપવામાં આવે તેવી સાંસ્કૃતિ કૃતિઓ રજૂ કરવા પર ભાર મૂક્યો હતો તેમજ જિલ્લામાંથી વધુને વધુ લોકો સહભાગી બને તે પ્રકારનું આયોજન કરવા અધિકારીશ્રીએ સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી નિશા શર્માએ કાર્યક્રમ સ્થળ પર સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને આરોગ્ય વ્યવસ્થા, વીજ પૂરવઠો, આમંત્રણ પત્રિકા વિતરણ, સ્થળ પર સ્વચ્છતા, વૃક્ષારોપણ સહિતની તમામ કામગીરી અંગે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જમીન સંપાદક અધિકારી શ્રી અર્જુનસિંહ વણઝારા, પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડીયા, મામલતદાર શ્રી મહેશ ગોહિલ સહિત જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.