ગાંધીનગર જિલ્લામાં સૌપ્રથમ વાર દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતીમેળો અને સ્વરોજગાર શિબિર યોજાશે
ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે, ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા દિવ્યાંગ રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે, દિવ્યાંગ રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગાંધીનગર તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ૧૦ પાસ, ૧૨ પાસ, સ્નાતક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ દિવ્યાંગ ઉમેદવારો આ દિવ્યાંગ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદાની વાત કરવામાં આવે તો તે ૧૮ થી ૩૫ ની રહેશે. આ દિવ્યાંગ રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના ૬ જેટલા નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે.
તા-૨૨/૦૮/૨૦૨૫ શુક્રવારે સવારે ૧૦:૦૦ કલાકે મહાનગરપાલિકા કોમ્યુનીટી હોલ, પોલીસ સ્ટેશનની સામે,સેક્ટર–૭,ગાંધીનગર ખાતે આયોજિત રોજગાર ભરતી મેળામાં નોકરીદાતા તરીકે, દીપકિરણ ફૂડ પ્રા.લી,ટેક મહિન્દ્રા લી.,ક્રોમા (ટાટા ગ્રુપ),ફોર્ડ ઇન્ડિયા લી.,STOE ફેશન પ્રા.લી ,એમેઝોન ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહીને તેમની ખાલી જગ્યાઓ હેલ્પર, કસ્ટમર રિલેશનશિપ એસોસિએટ, સેલ્સ એક્ઝીક્યુકટીવ, ટ્રેઈની,હેલ્પર,વેરહાઉસ એસોસિએટ પસંદગી કરશે.
આ દિવ્યાંગ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ૩ થી ૪ નકલ બાયોડેટા અને ડિસબિલિટી સર્ટીફિકટ સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવેલ છે. આ દિવ્યાંગ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે.આ અંગે વધુ માહિતી માટે વેબસાઇટ www.anubandham.gujarat.gov.in ઉપર સંપર્ક કરવા રોજગાર અધિકારી ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.