ગાંધીનગર

સાદરામાં વિધવા સાથે લગ્ન કરનાર યુવક પર હુમલો, પોલીસ ફરિયાદથી ચકચાર

ગાંધીનગર નજીકના સાદરાના કલ્યાણપુરા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં એક યુવાને ગામની વિધવા મહિલા સાથે પ્રેમલગ્ન કરતા તેના પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ યુવાને ગામ છોડી દીધું હતું, પરંતુ જ્યારે તે પોતાની માતાની ખબર કાઢવા માટે ગામ પાછો ફર્યો, ત્યારે વિધવા મહિલાની અગાઉની સાસરીના લોકોએ હથિયારો સાથે તેના ઘર પર હુમલો કરી, તોડફોડ કરી અને ધમકીઓ આપી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ કલ્યાણપુરાના અને હાલ દહેગામ ખાતે રહેતા દિલીપકુમાર પ્રતાપજી ચૌહાણે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે એક વર્ષ પહેલાં તેમણે ગામની એક વિધવા મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નથી નારાજ થઈને મહિલાની સાસરીના લોકોએ તેમને ગામમાં પ્રવેશ ન કરવાની ધમકી આપી હતી. ગત 15મી ઓગસ્ટના રોજ દિલીપકુમાર પોતાની માતાની ખબર કાઢવા ગામમાં આવ્યા હતા, ત્યારે વિધવા મહિલાના સાસરીના સભ્યોએ લાકડી, લોખંડની કુહાડી અને અન્ય હથિયારો સાથે આવીને તેમના ઘર પર હુમલો કર્યો હતો. તેમણે દિલીપકુમાર અને તેમના માતાને ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેમના બાઈકની તોડફોડ કરી હતી.

આ હુમલાથી ગભરાઈને દિલીપકુમારે ઘરમાં ભાગીને દરવાજો બંધ કરી દીધો હતો. હુમલાખોરો ગયા બાદ તેમણે જોયું કે તેમના બાઇકને મોટું નુકસાન થયું હતું. આ ઘટના અંગે ચિલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર ગ્રામીણ વિસ્તારોમાં પ્રેમલગ્ન અને સામાજિક વિરોધના ગંભીર પરિણામો દર્શાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *