ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો: ગુજરાત કોંગ્રેસનું ‘વોટ ચોર-ગાદી છોડ’ અભિયાન
ગુજરાતમાં ચૂંટણી દરમિયાન કથિત ગેરરીતિઓ અને વોટચોરીના ષડયંત્રને ઉજાગર કરવા માટે ગુજરાત કોંગ્રેસ મેદાને ઊતરી છે. હાઇકમાન્ડના આદેશને પગલે પ્રદેશ કોંગ્રેસે આગામી ૩ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં ‘વોટ ચોર-ગાદી છોડ’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચ આજે પ્રમાણિકતા અને નિષ્પક્ષતાને બદલે ભારતીય જનતા પાર્ટીની કઠપુતળી બની ગયું છે અને દેશમાં સુવ્યવસ્થિત ષડયંત્રના ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે.
કોંગ્રેસે દાવો કર્યો છે કે ગુજરાતમાં ચોર્યાસી બેઠક પર ૨.૪૦ લાખ મતદારોની ચકાસણી કરવામાં આવતા ૩૦ હજારથી વધુ મતદારો શંકાસ્પદ, ડુપ્લીકેટ અથવા ખોટા હોવાના પુરાવા મળ્યા છે.
ચૂંટણી પંચની કથિત ગેરરીતિઓ ઉજાગર કરવા અને વોટ ચોરીને અટકાવવાના ઉદ્દેશથી કોંગ્રેસ દ્વારા ‘વોટ ચોર-ગાદી છોડ’ મુદ્દે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
- રાષ્ટ્રીય લક્ષ્ય: આ મુહિમ અંતર્ગત કોંગ્રેસ દેશભરમાં ૫ કરોડથી વધુ સહીઓ એકત્ર કરીને લોકતંત્રને બચાવવાનો પ્રયાસ કરશે.
-
ગુજરાતની રણનીતિ: ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઘર-ઘર ફરીને દરેક પરિવાર સુધી પહોંચશે અને નકલી, ખોટા અને શંકાસ્પદ મતદારોને શોધી કાઢશે. આ સાથે જ કોંગ્રેસે રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભા ક્ષેત્રની મતદાર યાદી ચકાસવાનું પણ નક્કી કર્યું છે.