પ્રાકૃતિક કૃષિ એટલે કેન્સર મુક્ત અને નિરોગી જીવન તરફ એક મક્કમ ડગલું
તા.૦૩ ફેબ્રુઆરી
આજના સમયમાં ‘ખોરાક એ જ ઔષધ’ ગણાય છે, પરંતુ કમનસીબે આપણે જે ખોરાક લઈ રહ્યા છીએ તે ઔષધને બદલે ધીમું ઝેર સાબિત થઈ રહ્યો છે. વધતા જતા કેન્સરના કેસો પાછળ આપણી ખેતી પદ્ધતિમાં ઘુસી ગયેલા રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકો એક મુખ્ય કારણ છે. આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ માનવજાતને કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી બચાવવા માટે એક અનિવાર્ય વિકલ્પ બની રહી છે.
રાસાયણિક ખેતી અને કેન્સરનો ખતરો
આધુનિક ગણાતી રાસાયણિક ખેતીમાં વધુ ઉત્પાદનની લાલચમાં યુરિયા, ડીએપી અને અનેક પ્રકારના પેસ્ટિસાઈડ્સનો અંધાધૂંધ ઉપયોગ થાય છે.
આ ઝેરી રસાયણો પાકના મૂળ દ્વારા ફળ, શાકભાજી અને અનાજમાં પ્રવેશે છે.અને આ રાસાયણિક ખાતરો જમીનમાં ઉતરીને પીવાના પાણીને પણ દૂષિત કરે છે.લાંબા ગાળે આ દૂષિત ખોરાક આપણા શરીરમાં કોષોના બંધારણને નુકસાન પહોંચાડે છે, જે કેન્સર જેવી બીમારીઓનું મૂળ બને છે.
સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ
પ્રાકૃતિક ખેતી એટલે ‘શૂન્ય બજેટ ખેતી’, જેમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત જીવામૃત અને બીજામૃતનો ઉપયોગ થાય છે. પ્રાકૃતિક કૃષિના ફાયદાની વાત કરવામાં આવે તો,ઝેરમુક્ત આહાર એ તેની મૂળ ખાસિયત છે,કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક વગર તૈયાર થયેલો ખોરાક શુદ્ધ અને સાત્વિક હોય છે.જેમાં પોષક તત્વોની વિપુલતા જોવા મળે છે.પ્રાકૃતિક રીતે ઉગાડેલા પાકમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
સ્વાદ અને સુગંધની વાત કરવામાં આવે તો,રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનો સ્વાદ વધુ સારો અને કુદરતી હોય છે.ઉપરાંત પ્રાકૃતિક કૃષિ થકી પર્યાવરણની જાળવણી થાય છે,જમીન, જળ અને વાયુ પ્રદૂષિત થતા અટકે છે, જે પરોક્ષ રીતે લાંબા ગાળાના સ્વાસ્થ્ય લાભો આપે છે. ખેડૂત અને ગ્રાહક બંનેનો સહિયારો પ્રયાસ કેન્સર સામે રક્ષણ આપવામાં મજબૂત ઢાલ બની શકે છે.કેન્સર મુક્ત સમાજ બનાવવા માટે માત્ર ખેડૂતો જ નહીં, પણ ગ્રાહકોની જાગૃતિ પણ એટલી જ જરૂરી છે.
જો આપણે આવનારી પેઢીને હોસ્પિટલોના ખર્ચ અને બીમારીઓના ડરમાંથી બચાવવી હશે, તો આપણે ‘થાળીમાં ઝેર’ પીરસવાનું બંધ કરવું પડશે. પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પણ ‘જીવવાની જડીબુટ્ટી’ છે. જ્યારે ખેતરમાં ઝેર નહીં છંટાય, ત્યારે જ આપણા શરીરમાંથી બીમારીઓ દૂર ભાગશે.

