ગાંધીનગર

પ્રધાનમંત્રી સૂર્યઘર: મફત વીજળી યોજના – ઉજ્જવળ અને હરિયાળું ભવિષ્યની દિશામાં એક મજબૂત કદમ

વર્તમાનમાં સસ્ટેનેબલ લાઈફ ગોલ્સમા આર્થિક વિકાસ અને આત્મનિર્ભરતા સાથે ઉર્જા ક્ષેત્રે પણ આત્મનિર્ભરતા મેળવવાનો ધ્યેય અનેક પરિવારોમાં જોવા મળી રહ્યો છે. જેને ભારત સરકારની “પ્રધાનમંત્રી સૂર્યઘર: મફત વીજળી યોજના” સાકાર કરી રહી છે. આ યોજનાથી અનેક પરિવારો શૂન્ય વિજળી બિલ સાથે ઉર્જા આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યા છે. આ યોજનાના લાભ સમી સૌર ઉર્જા આજે ગાંધીનગર જિલ્લાના માણસા ગામના અનેક પરિવારોના જીવનમાં એક નવો પ્રકાશ લઈને આવી છે. માણસા ગામના આશાબહેન ભરતકુમાર પટેલ માટે, તેમના પિયરમાંથી મળેલી સૌર ઉર્જાની માહિતી મોટા પરિવર્તનનું પ્રમાણ બની છે. ભાઈને મળેલા સૂર્યઘર યોજનાના લાભ જાણ્યા બાદ તેમણે જુલાઈ મહિનામાં તેમના ઘરે સોલાર પેનલ લગાવી, અને ત્યારથી જ તેમના ઘરમાં સકારાત્મક બદલાવ આવ્યો છે.
સૌર ઉર્જાના ઉપયોગથી તેમના વીજળીના બિલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે તેમના ઘરના બજેટ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. આશાબહેને જણાવ્યું કે, “પહેલા વીજળીનું બિલ ₹2,000 થી ₹2,500 સુધી આવતું હતું, પણ હવે સોલાર પેનલ લગાવ્યા પછી તેમાં ઘણી રાહત મળી છે.” તો, આશાબહેનના પડોશી ગીતાબહેન અરવિંદકુમાર પટેલએ પણ આશાબહેન પાસેથી આ યોજના અને તેના લાભ વિશે જાણીને સૂર્ય ઘર યોજના માટે નોંધણી કરાવી. આ યોજનામાં સરકારની સહાય સાથે શૂન્ય વીજબિલનો ફાયદો મેળવતાં તેમણે કહ્યું હતું કે,”સોલાર સિસ્ટમ લગાવવાથી ઘરનું વીજળીનું બિલ હવે શૂન્ય થઈ ગયું છે. પહેલાં ઘરમાં ટીવી અને એસી જેવી સુવિધાઓ ચાલુ રહેતી હોવાથી બિલ ₹3,000 થી ₹4,000 જેટલું મોટું આવતું હતું, પરંતુ હવે સોલાર સિસ્ટમની મદદથી તેમને ઘણી રાહત મળી છે.આ યોજનામાં સોલાર પેનલના ઇન્સ્ટોલેશન માટે સરકાર તરફથી ₹78,000 ની સબસિડી પણ મળી છે, જેનાથી આર્થિક મદદ મળી રહે છે અને ઊર્જાની પણ બચત કરી શકાય છે.
આમ, માણસા ગામની આ મહિલાઓ અને તેના પરિવાર શૂન્ય વીજબિલ સાથે આત્મનિર્ભર બન્યા છે. પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના 1 કરોડ ઘરોની છત પર સોલાર પેનલ (Rooftop Solar) લગાવીને તેમને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના માત્ર આર્થિક બચત જ નથી કરતી, પરંતુ પર્યાવરણના રક્ષણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણા ગુજરાત રાજ્યમાં જ્યાં સૂર્યપ્રકાશ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, ત્યાં આ યોજના આશિર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત ૧ કિલો વોટ સુધીમાં 30,000 થી ત્રણ કિલો વોટથી વધુ અને મહત્તમ રૂ. 78,000 જેટલી સબસીડી આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. જેમાં પોર્ટલ પર નોંધણી કરાવી, રાજ્ય અને વીજળી વિતરણ કંપની (DISCOM) પસંદ કરવાના રહેશે. બાદમાં વીજ ગ્રાહક નંબર (Consumer Number), મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દાખલ કરી લોગિન કરવાનું રહેશે. લોગિન બાદ રૂફટોપ સોલાર માટે અરજી ફોર્મ ભરી શકાશે. અરજી વીજ કંપની દ્વારા ચકાસવામાં આવશે. મંજૂરી મળ્યા પછી, નોંધાયેલા વેન્ડર્સ (Vendors) પાસેથી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવી શકાય છે.
વેન્ડર દ્વારા પેનલ લગાવ્યા પછી, ઉપભોક્તાએ ‘નેટ મીટર’ (Net Meter) માટે અરજી કરવાની રહેશે. ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા બાદ, પોર્ટલ પર પ્લાન્ટની વિગતો અને બેંક ખાતાની માહિતી સબમિટ કરતા ચકાસણી પછી, સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં જમા થશે. આ યોજનાનો લાભ મેળવવા મોબાઈલ નંબર સાથે લિંક આધાર કાર્ડ,તાજેતરનું વીજળીનું બિલ, રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ, લાઈટ બિલ, વગેરે),બેંક પાસબુક (કેન્સલ ચેક સાથે), છતની માલિકીનો પુરાવો (જો ઘર ભાડાનું હોય તો મકાનમાલિકની સંમતિ), પાસપોર્ટ સાઈઝનો ફોટો જેવા દસ્તાવેજોની આવશ્યક રહેશે. આ યોજના ભારતને ઉર્જા ક્ષેત્રે સ્વાવલંબી બનાવવા તરફ એક ક્રાંતિકારી પગલું છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના એ માત્ર સસ્તી વીજળી મેળવવાનો માર્ગ નથી, પરંતુ એક ઉજ્જવળ અને હરિયાળું ભવિષ્ય બનાવવાની દિશામાં એક મજબૂત કદમ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *