ગાંધીનગર

જેમ પૈસા માટે ATM, તેમ હવે અનાજ માટે પણ ATM: ગુજરાતનું ગૌરવ, અન્ન પૂર્તિ મશીન!

ગુજરાત સરકાર અને ભારત સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યની જાહેર વિતરણ પ્રણાલી (PDS) માં એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. ભાવનગરના કરચલિયા પારાથી શરૂ થયેલું ‘અન્ન પૂર્તિ મશીન’ એટલે કે ગ્રેન ATM, હવે રાજ્યના ખૂણે-ખૂણે પહોંચવા માટે સજ્જ છે. આ મશીન માત્ર અનાજ વિતરણનું સાધન નથી, પરંતુ પારદર્શિતા અને આધુનિકતાનું પ્રતીક છે.
મુખ્ય વિશેષતાઓ અને કાર્યક્ષમતાની વાત કરવામાં આવે તો,આ મશીન અત્યંત આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જે ‘વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ’ (WFP) ના સહયોગથી કાર્યરત છે.
આ મશીન માત્ર 35 સેકન્ડમાં 25 કિલોગ્રામ જેટલા અનાજનું સચોટ વિતરણ કરવાની ક્ષમતા ધરાવે છે.
આ નવા મોડેલમાં માત્ર ઘઉં અને ચોખા જ નહીં, પરંતુ તુવર દાળ, ચણા, ખાંડ, મીઠું અને ખાદ્ય તેલ જેવા પેકિંગમાં મળતા પદાર્થોની પણ સુવિધા હશે.આ અન્નનપૂર્તિ મશીનમાં બાયોમેટ્રિક સિસ્ટમ હોવાથી ડમી લાભાર્થીઓનો ભય રહેતો નથી અને સાચા હકદારને જ રાશન મળે છે.

ગુજરાત માટે ગૌરવની વાત છે કે, ડિજિટલ ભારતની દિશામાં આગળ વધતા આ મશીનનું ઉત્પાદન ગુજરાતમાં જ કરવામાં આવ્યું છે, જે ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાનને સીધું પ્રોત્સાહન આપે છે.અને આ ગ્રેન ATM આવવાથી હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની કે ઓછું અનાજ મળવાની ચિંતા નાગરિકો માટે ભૂતકાળ બની જશે.ઉપરાંત બેંક ATMની જેમ જ લાભાર્થી પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે રાશન મેળવી શકશે.

અત્યારસુધી અનાજ ઓછું મળે અથવા નાગરિકો વચેટિયાઓ દ્વારા છેતરપિંડીનો શિકાર બનવાની શક્યતા રહેતી, પરંતુ હવે મશીનની સ્ક્રીન પર વિતરણ કિંમત અને જથ્થો જોઈ શકાય છે, જેથી છેતરાવાની કોઈ શક્યતા રહેતી નથી.ગુણવત્તા અને ચોકસાઈની બાબતમાં મશીન દ્વારા અપાતું અનાજ ધૂળ-રજકણ રહિત અને સચોટ વજન સાથે મળે છે.

One Nation One Ration અંતર્ગત અન્ય રાજ્યના શ્રમિકો પણ આ સુવિધાનો લાભ લઈ શકશે, જે તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે.

રાજ્યના દરેક જિલ્લામાં એક મશીન ઉપલબ્ધ કરાવવાના નિર્ણયથી અનેક નવા દ્વાર ખુલશે.અને નવી રોજગારીનું પણ સર્જન થશે.મશીનોના મોટા પાયે ઉત્પાદનથી સ્થાનિક ઉદ્યોગો વિકસશે અને ટેકનિકલ ક્ષેત્રે રોજગારી વધશે.

રિયલ-ટાઇમ મોનિટરિંગ હોવાથી સ્ટોક ઓછો થતા જ તંત્રને એલર્ટ મળશે, જેથી સમયસર રિફિલિંગ થઈ શકે અને અછત ન સર્જાય.તથા ડિજિટલ ગુજરાત અંતર્ગત પેપરલેસ અને કેશલેસ વ્યવસ્થા તરફ આ એક મજબૂત કદમ બનશે.

અન્ન પૂર્તિ મશીન ટેકનોલોજી દ્વારા સામાન્ય માનવીના જીવનમાં સરળતા લાવવાનું ઉત્તમ ઉદાહરણ છે. તે ભ્રષ્ટાચાર મુક્ત અને કાર્યક્ષમ શાસન-Good Governanceની દિશામાં ગુજરાતનું એક ગૌરવશાળી ડગલું બની રહેશે.

‘અન્નપૂર્તિ’ મશીન એટલે કે ગ્રેન એટીએમના મુખ્ય શોધક અને ડિઝાઇનર શ્રી અનુરાગ વિશ્વકર્મા આ અંગે જણાવે છે કે,તેમણે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) સાથે મળીને આ ટેકનોલોજી વિકસાવી છે. આ મશીન પાછળનો તેમનો મુખ્ય વિચાર રેશનિંગ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો અને સામાન્ય લોકોને અનાજ મેળવવામાં પડતી હાડમારી ઘટાડવાનો હતો.
તેમણે આ મશીનને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે, તે અનાજનું સચોટ વજન કરે છે અને તેમાં ભેળસેળ કે ચોરીની શક્યતા રહેતી નથી.તેમના આ કાર્યને કારણે જ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે આ મોડેલને સ્વીકાર્યું અને તેને ભારતના વિવિધ રાજ્યોમાં જેમ કે હરિયાણા, ઓડિશા અને ઉત્તર પ્રદેશલાગુ કરવામાં આવ્યું.
આ મશીન ‘ઓટોમેટેડ મલ્ટી-કોમોડિટી ગ્રેન ડિસ્પેન્સિંગ સોલ્યુશન’ તરીકે ઓળખાય છે, જે બાયોમેટ્રિક પ્રમાણીકરણ સાથે જોડાયેલું છે.
આ અંગે શ્રી અનુરાગ વિશ્વકર્મા વધુમાં જણાવે છે કે,તેઓ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા અને ખરેખર દેશને ડિજિટલ બનાવવા તરફ સહયોગી બનવા માંગે છે.
અનુરાગ વિશ્વકર્મા વધુમાં ઉમેરી છે કે, ડિજિટલ ઇન્ડિયા તરફ એક ડગ માંડવાની દિશા આપતા, આ કાર્યમાં ગુજરાત સરકાર સાથે ગાઢ સંકલનમાં રહી ‘ટેક્નોક્રાફ્ટ જીઆઈડીસી મકરપુરા, વડોદરા ખાતે આ મસીન વિકસાવવામાં આવ્યું છે.જેમાં વડોદરા અને ગાંધીનગર ટીમ અને અધિકારીઓ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *