કાશ્મીરી યુવાનોએ માણ્યો ગુજરાતનો આતિથ્ય સત્કાર: જન ઔષધ કેન્દ્રની મુલાકાત અને વિદ્યાપીઠમાં સાંસ્કૃતિક સંગમ
કેન્દ્ર સરકારના ‘કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ અંતર્ગત કાશ્મીરના યુવાનો હાલ ગુજરાતની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન યુવાનોએ રવિવારે અમદાવાદના મોટેરા સ્થિત ‘પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના’ અંતર્ગત કાર્યરત જન ઔષધ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થયા હતા. આ ઉપરાંત મોટેરા ખાતે આવેલા જન ઔષધ કેન્દ્રની મુલાકાત દરમિયાન કાશ્મીરી યુવાઓએ પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાના કાર્યકારી મોડેલ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. સામાન્ય નાગરિકોને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ કેવી રીતે ઉપલબ્ધ કરાવાય છે, તે અંગે તેમણે વિગતવાર જાણકારી મેળવી આ યોજનાની પ્રશંસા કરી હતી.
અમદાવાદની ઐતિહાસિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠના કેમ્પસમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાશ્મીરી અને ગુજરાતી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. કાશ્મીરથી આવેલા યુવાનોએ તેમના પારંપરિક નૃત્ય અને ગાયન દ્વારા મનોરંજક પ્રસ્તુતિ કરી હતી.તથા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ રજૂ કરી હતી, જેમાં ગુજરાતી ગરબા અને સ્થાનિક લોક નૃત્ય,આદિવાસી લોક નૃત્ય,નાગાલેન્ડનું વિશિષ્ટ લોક નૃત્ય રજૂ કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ રાજ્યોના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક સેતુ બાંધવાનો અને એકબીજાની પરંપરાઓથી અવગત કરાવવાનો હતો. કાર્યક્રમના અંતે બંને પ્રદેશના યુવાનોએ પરસ્પર સંવાદ સાધીને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિની એકતાના દર્શન કરાવ્યા હતા.

