ગુજરાત

“તાપીની ધરતીથી ગાંધીનગરના વસંતોત્સવ સુધી સુશીલાબેન કોકણીની પ્રેરણાદાયી સફર”

ગાંધીનગરનો વસંતોત્સવ માત્ર ઉત્સાહ અને મનોરંજનનો જ નહીં પરંતુ અનેક કસબીઓની કલા તથા વિશિષ્ટ સંકલ્પનો સંગમ પણ બન્યો છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના વતની સુશીલાબેન કોકણી એક આદિવાસી મહિલા તરીકે માત્ર ખેતી સુધી સીમિત ન રહી વસંતોત્સવમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પનન શ્રી અન્નના પ્રચારક બન્યાં છે. પોતાના પરિશ્રમ અને સંકલ્પથી ગ્રામિણ મહિલાઓ માટે તેઓ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. તેઓ પોતાના ખેતરોમાં પ્રાકૃતિક પદ્ધતિથી રાગી (નાગલી) અને અન્ય મિલેટ ધાન્યનું ઉત્પાદન કરે છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી મુક્ત આ પાકો સંપૂર્ણ પ્રાકૃતિક સ્વરૂપે તૈયાર થાય છે.
સુશીલાબેને “નાહારી સખી મંડળ” નામના ગૃહ ઉદ્યોગ દ્વારા બાર સખીઓ સાથે મળી સ્વરોજગારનું અનોખું મોડેલ ઊભું કર્યું છે. આ મંડળ ઘર-ઘર સ્વદેશી વસ્તુઓની બનાવટ અને વેચાણનું કાર્ય કરે છે. તેમની ઉત્પાદિત વસ્તુઓમાં નાગલી, નાગલીની પાપડી, નાગલીના પાપડ, નાગલીનો લોટ, નાગલીની બિસ્કિટ, નાગલીના ભૂંગળા, નાગલીની સેવ જેવી પૌષ્ટિક વાનગીઓ સાથે દેશી મધ, ભુજીયું, અડદની દાળ, તુવેરની દાળ, મગ, કડાના ચોખા, દેશી ચોખા, ભગર (મોરિયો), મકાઈની પાપડી અને દેશી ચટણીનો સમાવેશ થાય છે.
સુશીલાબેન જણાવ્યું હતું કે, ખાસ કરીને રાગી (નાગલી) આધારિત “મિલેટ મિનિટ્સ” વસ્તુઓ આજના આરોગ્ય જાગૃત યુગમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. સુશીલાબેનનું કહેવું છે કે નાગલીમાં કેલ્શિયમ અને આયર્નનું પ્રમાણ વધુ હોવાથી કુપોષણ દૂર કરવામાં મદદ મળે છે. તેમાં પ્રોટીન, ખનિજ તત્વો, વિટામિન્સ અને વધુ રેસા (ફાઈબર) હોવાથી ડાયાબિટીસ, હ્રદયરોગ તથા ઓબેસીટી જેવા અન્ય જીવનશૈલી સંબંધિત રોગોમાં લાભદાયક છે. આમ, મેદસ્વિતા મુક્તિ માટે તથા બાળકોના પૌષ્ટિક આહાર માટે પણ નાગલી ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
સુશીલાબેન અને તેમની ટીમ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ દિલ્હી, મધ્યપ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોમાં પણ રાગી આધારિત વસ્તુઓનું વેચાણ કરી ચૂકી છે. તેમનું કાર્ય ગ્રામિણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત “વસંતોત્સવ”માં તાપીના પ્રાકૃતિક ખેત ઉત્પાદનો, ખાસ કરીને રાગીની વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ મુખ્ય આકર્ષણ બન્યું છે. આ આયોજનમાં સુશીલાબેનના ગૃહ ઉદ્યોગે ગ્રામિણ પરંપરા અને આધુનિક આરોગ્ય જાગૃતિ વચ્ચે સુંદર સેતુ બાંધી બતાવ્યો છે.
સુશીલાબેન કોકણીની આ સફર માત્ર એક મહિલા ઉદ્યોગસાહસિકની સફળતા નથી, પરંતુ સ્વદેશી, પ્રાકૃતિક ખેતી અને મહિલાઓના સશક્તિકરણનું જીવંત ઉદાહરણ છે. તેમની મહેનત અને દૃઢ ઇચ્છાશક્તિ આજે અનેક મહિલાઓ માટે નવી દિશા અને નવી આશા બની છે. “ગુજરાત સરકાર દ્વારા મળતા પ્રોત્સાહન અને સહકાર વિના આ સફર શક્ય ન હોત,” એમ તેમણે જણાવ્યું હતું. તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે વસંતોત્સવ જેવા કાર્યક્રમો ગ્રામ્ય મહિલા ઉદ્યોગકારો માટે આશીર્વાદ સમાન છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *