ગુજરાતના શ્રમયોગીઓ માટે કલ્યાણકારી યોજનાઓનું ભાથું, ‘શ્રમિક અન્નપૂર્ણા’ થી ‘શ્રમિક બસેરા’ સુધી
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોના સર્વાંગી ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રમિકોને સામાજિક સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ અને આવાસની સુવિધા પૂરી પાડવાનો છે.
મુખ્ય શ્રમિક કલ્યાણ યોજનાઓ પર એક નજર કરીએ તો પોષણ અને ભોજનનો સમન્વય એટલે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ માત્ર રૂપિયા 5 માં પૌષ્ટિક ભોજન,આરોગ્ય સુવિધા માટે’ધનવંતરી આરોગ્ય રથ’ દ્વારા શ્રમિકોના કાર્યસ્થળ પર જ મફત નિદાન અને સારવાર,માતૃત્વ અને બાળ કલ્યાણને મહત્વ આપતી ‘પ્રસૂતિ સહાય યોજના’ અને દીકરીઓના ભવિષ્ય માટે ‘મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના’.શિક્ષણ સહાય માટે શ્રમિકોના બાળકો માટે પ્રાથમિકથી લઈ પીએચ.ડી. સુધીના અભ્યાસક્રમો માટે આર્થિક સહાય. તેમજ સ્થળાંતરિત શ્રમિકોના બાળકો માટે હોસ્ટેલની સુવિધા,આકસ્મિક સહાય અર્થે ‘આકસ્મિક મૃત્યુ સહાય યોજના’ અને અંતિમ સંસ્કાર માટે ‘અંત્યેષ્ટિ સહાય યોજના’,પરિવહન અને સાધન સહાયની વાત કરવામાં આવે તો ‘ગો ગ્રીન શ્રમિક યોજના’ એટલે કે, ઇલેક્ટ્રિક વ્હીકલ સબસિડી, ‘શ્રમિક પરિવહન યોજના’ જેમાં બસ પાસ સહાય અને દિવ્યાંગ શ્રમિકો માટે ‘ઇલેક્ટ્રિક ત્રિચક્રી વાહન’ સહાય,આવાસ યોજના અંતર્ગત ‘શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના’, ‘હાઉસિંગ સબસિડી યોજના’ અને રહેવા માટે હંગામી વ્યવસ્થા તરીકે ‘શ્રમિક બસેરા’,વીમા કવચ અંતર્ગત ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના’ હેઠળ સુરક્ષા કવચ,કૌશલ્ય વર્ધન’કુશળ શ્રમિક સહાય યોજના’ દ્વારા શ્રમિકોને તાલીમ અને સાધન સહાયનો સમાવેશ થાય છે.
બાંધકામ શ્રમિકની વ્યાખ્યા મુજબ
જે વ્યક્તિ વર્ષમાં ઓછામાં ઓછા ૯૦ દિવસ બાંધકામ ક્ષેત્રે મજૂરી કામ કર્યું હોય તે ‘બાંધકામ શ્રમિક’ તરીકે નોંધણી કરાવી શકે છે. જેમાં,કડિયાકામ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ કામ કરનાર,સુથારીકામ, પેઇન્ટિંગ અને ટાઇલ્સ ફિટિંગ કરનાર,રોડ-રસ્તા, પુલ કે નહેરના કામમાં રોકાયેલા શ્રમિકો,બાંધકામ સ્થળે સફાઈ કે માલસામાનની હેરાફેરી કરનાર મજૂરો અને કામદારોનો સમાવેશ થાય છે.
નોંધણી માટેના જરૂરી દસ્તાવેજો
યોજનાઓનો લાભ લેવા માટે ‘ઈ-નિર્માણ’ કાર્ડ કઢાવવું અનિવાર્ય છે, જેના માટે આધાર કાર્ડની નકલ,
બેંક પાસબુકની નકલ,રેશનકાર્ડની નકલ, ૯૦ દિવસ કામ કર્યાનું પ્રમાણપત્ર,પાસપોર્ટ સાઇઝના ફોટા વગેરે દસ્તાવેજો જરૂરી છે. આમાંથી માત્ર આધાર કાર્ડ હોય તો પણ નોંધણી કરાવી શકાય છે. નોંધણી પ્રક્રિયા માટે શ્રમિકો પોતાની નોંધણી નજીકના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા શ્રમ વિભાગની કચેરીએ જઈને કરાવી શકે છે.તથા યોજનાઓની વધુ માહિતી કે કોઈ પણ પ્રકારની મૂંઝવણ માટે સરકારની અધિકૃત શ્રમ સહાયક હેલ્પલાઇન નંબર 155372 પર સંપર્ક કરી શકાય છે. આમ,સરકારની આ તમામ યોજનાઓ શ્રમિકોના જીવન સ્તરને ઊંચું લાવવા માટેનો એક મજબૂત સેતુ છે. રૂપિયા 5 ના ભોજનથી લઈ પીએચ.ડી.ના અભ્યાસ સુધીની આ સફર શ્રમિકોને સ્વનિર્ભર અને સન્માનજનક જીવન જીવવાની તક પૂરી પાડે છે.

