ગાંધીનગર

શ્રીઅન્ન અને પ્રાકૃતિક કૃષિનું સાયુજ્ય એટલે ઘર ઘર સુધી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના કંકુ પગલાં

આજે જ્યારે સમગ્ર વિશ્વ રાસાયણિક ખેતી અને જીવનશૈલીના રોગોથી ચિંતિત છે, ત્યારે ભારતની પ્રાચીન પરંપરાઓ ફરી એકવાર આશાનું કિરણ બનીને ઉભરી રહી છે. શ્રીઅન્ન એટલેકે મિલેટ્સ અને પ્રાકૃતિક કૃષિ આ બંનેનો સમન્વય એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ ઘર-ઘર સુધી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિના કંકુ પગલાં પાડવાનું એક સશક્ત માધ્યમ છે. પોષણનો ખજાનો ‘શ્રીઅન્ન’ એટલે કે બાજરી, જુવાર, રાગી, કોદરી, અને કંગની જેવા ધાન્યો. તેને ‘સુપરફૂડ’ કહેવામાં આવે છે કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર છે,તેમાં પ્રોટીન, ફાઈબર, આયર્ન અને કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં હોય છે.ઉપરાંત આ જાડા ધાન્ય ગ્લુટેન-ફ્રી છે અને ડાયાબિટીસ, હૃદયરોગ તેમજ મેદસ્વીતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. પ્રાકૃતિક ખેતી એટલે કે ‘ઝેરમુક્ત ખેતી’ ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત જીવામૃત અને ઘનજીવામૃતથી થતી આ ખેત પદ્ધતિ જમીનને ફરી જીવંત બનાવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પાછળ થતો મોટો ખર્ચ બચે છે.

આ પદ્ધતિથી પકવેલું અન્ન ખરેખર ‘અમૃત’ સમાન હોય છે, જે કેન્સર જેવા ગંભીર રોગોથી બચાવે છે. જ્યારે શ્રીઅન્નને પ્રાકૃતિક રીતે પકવવામાં આવે છે, ત્યારે તેના ફાયદા બમણા થઈ જાય છે.શ્રીઅન્નને ઓછા પાણીની જરૂર પડે છે, જે પાણીના સ્તરને બચાવે છે.જેથી ખેડૂતની સમૃદ્ધિ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને બજારમાં ઊંચા ભાવ મળતા ખેડૂત આર્થિક રીતે સધ્ધર બને છે. ગૃહિણીનું રસોડું રાસાયણિક મુક્ત અને પૌષ્ટિક ધાન્ય મળવાથી પરિવારનું સ્વાસ્થ્ય સુધરે છે, દવાખાનાના ખર્ચ ઘટે છે. શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના સંગમથી જમીન ફળદ્રુપ બનશે, ખેડૂત આત્મનિર્ભર બનશે અને સમાજ રોગમુક્ત થશે. આ સાયુજ્ય ખરેખર ભારતીય અર્થતંત્ર અને માનવ સ્વાસ્થ્ય માટે ‘કંકુ પગલાં’ સમાન સાબિત થશે, જે આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્યની ભેટ આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *