ગૌમાતા અને ધરતીમાતાના આશીર્વાદથી ‘કૃષિ રત્ન-૨૦૨૬’ બનતા ગાંધીનગરના નરેન્દ્રભાઈ મંડીર
પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, પણ જીવન જીવવાની એક પવિત્ર પદ્ધતિ છે, અને આ વાતને સાર્થક કરી બતાવી છે ગાંધીનગરના શિહોલી મોટી ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી નરેન્દ્ર એલ. મંડીરએ. તાજેતરમાં ૨૫ માર્ચ ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં, B-INDIA 24*7 બુલેટિન ઇન્ડિયા મીડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તેમને પ્રતિષ્ઠિત ‘કૃષિ રત્ન એવોર્ડ-૨૦૨૬’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના ૩૪ જિલ્લાઓમાંથી આવેલી અસંખ્ય અરજીઓમાંથી માત્ર ૨૪ શ્રેષ્ઠ ખેડૂતોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગાંધીનગર જિલ્લાનું ગૌરવ નરેન્દ્રભાઈએ વધાર્યું છે. તેમને આ એવોર્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે.
B.Sc. (Agri) થયેલા નરેન્દ્રભાઈએ પોતાના ‘પ્રાતેન્માં પ્રાકૃતિક ફાર્મ’ ને એક મોડેલ ફાર્મ તરીકે વિકસાવ્યું છે. તેમની સફળતાનું સૌથી મોટું પ્રમાણ તેમની જમીનનો સેન્દ્રીય કાર્બન છે, જે વધીને 2.55% જેટલો ઊંચો નોંધાયો છે. સામાન્ય રીતે રાસાયણિક ખેતીમાં આ આંકડો ઘણો ઓછો હોય છે, પરંતુ દેશી ગાય અને દેશી બીજના સમન્વયથી તેમણે ધરતીની ફળદ્રુપતામાં અદભૂત વધારો કર્યો છે. આ અવસરે શ્રી નરેન્દ્ર ભાઈ મંડીરે જણાવ્યું હતું કે,”આ સન્માન એ મારી મહેનત કરતા ગૌમાતા અને ધરતીમાતાના આશીર્વાદનું ફળ છે. દેશી ગીર ગાય અને પ્રાકૃતિક પદ્ધતિથી જ ખેતીનું ભવિષ્ય ઉજ્જવળ છે.” આ કાર્યક્રમ અવસરે શ્રી દિલીપભાઈ સંઘાણી ચેરમેનશ્રી, IFFCO,શ્રી બીપીનભાઈ પટેલ ડિરેક્ટર, KRIBHCO,શ્રી બાબુભાઈ જેબલિયા,મહામંત્રી, રાષ્ટ્રીય કિસાન સંઘ,શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ MD, B-India News ઉપસ્થિત રહ્યા હતા.

