ahemdabadગુજરાત

સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ

જ્યારે કોઈ પરિવારનો સભ્ય, ખાસ કરીને નાનું બાળક વિખૂટું પડે છે, ત્યારે તે પરિવાર પર આભ તૂટી પડતું હોય છે. તે પીડા અને વેદનાની કલ્પના કરવી પણ અશક્ય છે. આવા પરિવારોના ચહેરા પર ફરીથી ‘મુસ્કાન’ લાવવાના ઉમદા હેતુ સાથે સુરત શહેર પોલીસ દ્વારા એક અત્યંત સંવેદનશીલ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ચાર જ મહિનામાં ૨૫૭ બાળકો/બાળકીઓ સહિત કુલ ૬૯૬ લાપતા/અપહ્યુત લોકોને શોધીને તેમનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં આવ્યું છે. આ માનવીય અભિગમની સફળતા બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરત ક્રાઈમ બ્રાન્ચ અને તેના મિસિંગ સેલની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી તેમની કામગીરીને બિરદાવી છે.

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન.રાવ તેમજ સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોતની સૂચનાથી સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર ડૉ. કરનરાજ વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે વર્ષ ૨૦૨૬ના પ્રથમ ચાર મહિનામાં (જાન્યુઆરીથી એપ્રિલ) કુલ ૬૯૬ બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢીને પરિવાર સાથે મિલાવ્યા છે. જેમાં ૨૫૭ બાળકો/બાળકીઓ અને ૪૩૯ પુખ્ત વયના સ્ત્રી-પુરુષોનો સમાવેશ થાય છે.

છેલ્લા ચાર મહિનામાં મિસિંગ સેલ અને ક્રાઈમ બ્રાન્ચે કરેલી કામગીરીના વિગતવાર આંકડા જોઈએ તો, જાન્યુઆરી-૨૦૨૬માં ૧૬ છોકરાઓ, ૧૫ છોકરીઓ, ૮૬ સ્ત્રીઓ અને ૩૫ પુરુષો મળી કુલ ૧૫૨ વ્યક્તિઓનું મિલન તેમના પરિવાર સાથે કરાવ્યું હતું. ફેબ્રુઆરી માસમાં આ કામગીરીમાં વધુ વેગ સાથે ૩૮ છોકરાઓ, ૫૯ છોકરીઓ, ૫૨ સ્ત્રીઓ અને ૪૪ પુરુષો સહિત સૌથી વધુ ૧૯૩ લોકોને શોધી કાઢવામાં આવ્યા હતા. માર્ચ માસમાં ૩૩ છોકરાઓ, ૪૨ છોકરીઓ, ૬૭ સ્ત્રીઓ અને ૫૨ પુરુષો મળી કુલ ૧૯૪ વ્યક્તિઓને શોધવામાં સફળતા મળી હતી. એપ્રિલ-૨૦૨૬માં ૨૭ છોકરાઓ, ૨૭ છોકરીઓ, ૫૦ સ્ત્રીઓ અને ૫૩ પુરુષો મળી કુલ ૧૫૭ વ્યક્તિઓને તેમના પરિવાર સાથે મિલાવવામાં આવ્યા હતા. આમ, ચાર મહિનાના અંતે કુલ ૧૧૪ છોકરાઓ, ૧૪૩ છોકરીઓ, ૨૫૫ સ્ત્રીઓ અને ૧૮૪ પુરુષો મળી કુલ ૬૯૬ લોકોના જીવનમાં ફરીથી ખુશીઓ લાવવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

માત્ર એપ્રિલ-૨૦૨૬ના ટૂંકા ગાળામાં જ સુરત પોલીસે સઘન પ્રયત્નો કરીને કુલ ૧૫૭ વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. જેમાં આશ્ચર્યજનક રીતે વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૫ દરમિયાન ગુમ થયેલા જૂના કેસોનો પણ ઉકેલ લાવવામાં આવ્યો છે. આ કામગીરી માટે મિસિંગ સેલ દ્વારા છેલ્લા ૧૮ વર્ષમાં થયેલા મિસિંગ કેસોના કાગળો અને રજિસ્ટરો ચેક કરીને રી-ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યા હતા. પોલીસની અલગ-અલગ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, સોર્સીસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય રાજ્યોના સ્થાનિક સરપંચો તથા પોલીસનો સંપર્ક કરીને આ શોધખોળ હાથ ધરી હતી. ઘણા કિસ્સાઓમાં ગુમ થયેલા વ્યક્તિઓ રાજ્ય કે જિલ્લા બહાર હોવાનું પણ સામે આવ્યું હતું. ગુજરાત પોલીસની આ કામગીરી સાબિત કરે છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ સામાજિક જવાબદારી અને માનવતાના કાર્યમાં પણ અગ્રેસર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *