વડાપ્રધાનની અપીલ બાદ નિર્ણય: રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો
ગાંધીનગર: તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને વિવિધ અપીલ કરી હતી. ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી વિવિધ સાત અપીલના બીજા દિવસે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તેમનો અમેરિકાનો પ્રવાસ રદ કરીને સૌને વડાપ્રધાનશ્રીની અપીલમાં સહયોગ કરવા જણાવ્યું હતું.
આ મહિનામાં છેલ્લા સપ્તાહમાં, શ્રી હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે વડાપ્રધાનશ્રીની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ.
વૈશ્વિક સંકટ સામે વડાપ્રધાનશ્રીએ કરેલી સાત અપીલ
• જ્યાં શક્ય હોય ત્યાં વર્ક ફ્રોમ હોમને પ્રાથમિકતા
• ખાદ્ય તેલના વપરાશમાં ઘટાડો
• એક વર્ષ માટે વિદેશ પ્રવાસને ટાળીએ
• વિદેશી ઉત્પાદનોનો વપરાશ ઘટાડીએ તથા સ્વદેશી અપનાવીએ
• પેટ્રોલ અને ડિઝલનો વપરાશ ઓછો કરીએ અને જાહેર પરિવહનનો ઉપયોગ વધારીએ
• રાસાયણિક ખાતર પર નિર્ભરતા ઘટાડીએ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ
• એક વર્ષ માટે સોનું ખરીદવાનુ ટાળીએ

