ઉવારસદ ખાતે યોજાયો દિવ્યાંગ બાળકોનો ‘શાળા પ્રવેશોત્સવ’
સદવિચાર પરિવાર સંચાલિત ‘હીરાલક્ષ્મી ભીખાલાલ બેંકર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર’, ઉવારસદ ખાતે નવીન પ્રવેશ મેળવનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે “શાળા પ્રવેશોત્સવ સમારોહ” ભારે ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં યોજાઈ ગયો. આ પ્રવેશોત્સવ સંસ્થા સંચાલિત પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ અને એસ. કે. દેસાઈ વિકલાંગ વિદ્યામંદિર ધોરણ ૯ થી ૧૨ ના નવો પ્રવેશી મેળવનાર વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો.
સદવિચાર પરિવાર ખાતે યોજાયેલા આ “પ્રવેશોત્સવ ૨૦૨૬” માં દિવ્યાંગ બાળકોના ચહેરા પરનો અદમ્ય ઉત્સાહ અને સ્મિત ઉપસ્થિત સૌ કોઈ માટે પ્રેરણારૂપ બન્યા હતા. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના નિયામક શ્રી કૃષ્ણકાન્ત જહાએ સંસ્થાની વિવિધ ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નવા પ્રવેશેલા બાળકો તથા આમંત્રિત મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું અને આ નવું શૈક્ષણિક વર્ષ વહાલાં બાળકોના જીવનમાં પ્રગતિ તેમજ સફળતા લઈને આવે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ મંગલ પ્રસંગે સ્વામિનારાયણ ગુરુકુળના પૂજ્ય રામકૃષ્ણ શાસ્ત્રીજી (મેનેજિંગ ટ્રસ્ટી, સત્સંગ શિક્ષણ પરિષદ, ગાંધીનગર) એ ખાસ ઉપસ્થિત રહીને બાળકોને પ્રેરક આશીર્વચન પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગાંધીનગર મહાનગર પ્રમુખ શ્રી આશિષભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત, સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નીનાબેન શાહ, ટ્રસ્ટી શ્રી અપૂર્વ ઠાકરસી, શ્રી હિરેન સવાઈ, સ્વામિનારાયણ ગુરુકુળના ડાયરેક્ટર શ્રી ઉમંગ વસાણી તેમજ આચાર્ય શ્રી પ્રવિણભાઈ દેસાઈએ હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણ પ્રત્યેના સંકલ્પ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

