ગાંધીનગર જિલ્લામાં ટીટેનસ, પર્ટુટીસ અને ડિપ્થેરિયા સામે ટીડી અને ડીપીટી રસીકરણનો પ્રારંભ: ૬૬,૦૦૦થી વધુ બાળકોને રસી અપાશે
ગાંધીનગર તા.૨૫ જૂન-
ભારત સરકારના સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં જૂન-જુલાઈ ૨૦૨૬ દરમિયાન ડીપીટી બુસ્ટર (બીજો ડોઝ) તથા ટીડી વેક્સીનેસન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના અસરકારક અમલીકરણ માટે ગાંધીનગર કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ફોર ઈમ્યુનાઈજેશન (DTFI) સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન ટીડી અને ડીપીટી રસીકરણ, પલ્સ પોલિયો અભિયાન, “STOP DIARRHOEA Campaign”ના આયોજન, માઇક્રોપ્લાનિંગ, તાલીમ, જાગૃતિ પ્રવૃત્તિઓ, વ્યવસ્થાપન અને મોનીટરીંગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રી દ્વારા પલ્સ પોલિયો અભિયાન અન્વયે બૂથના દિવસે જ વધુમાં વધુ બાળકોને પોલિયો રસીથી રક્ષિત કરવા તેમજ હાઇરિસ્ક એરિયામાં સઘન સુપરવિઝન કરવા તાકીદની સૂચના અપાઈ છે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા તમામ સંકલિત વિભાગોને આ કામગીરીમાં ભાગીદારી કરી સિદ્ધિ હાસલ કરવા, ફિલ્ડ સ્ટાફને રસીકરણની કામગીરી પૂર્ણ કરવા અને તેનું વિગતવાર રિપોર્ટિંગ કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અશોક વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ રસીકરણ હેઠળ જિલ્લાની તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ અને બાલવાટિકાઓ આવરી લેવાશે. આ ઝુંબેશ અંતર્ગત બાલવાટિકામાં અભ્યાસ કરતા અને ૫ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા ૨૩,૦૦૦ બાળકોને ડીપીટી બુસ્ટર (બીજો ડોઝ) આપવામાં આવશે. ધોરણ-૫ માં અભ્યાસ કરતા અને ૧૦ વર્ષ પૂર્ણ કરેલ હોય તેવા તેમજ ધોરણ-૧૦માં અભ્યાસ કરતા ૧૬ વર્ષના બાળકો મળી અંદાજીત ૪૩,૦૦૦ થી વધારે બાળકોને ટીડી વેકસીનેશન હેઠળ આવરી લેવાશે.
આ ઝુંબેશને શાળા આરોગ્ય કાર્યક્રમ સાથે સંકલિત કરવામાં આવી છે. આરબીએસકે ટીમો, પીએચસી અને સીએચસીના આરોગ્ય કર્મચારીઓ, શિક્ષણ વિભાગના સંકલનથી શાળાઓમાં આરોગ્ય તપાસણી સાથે રસીકરણની કામગીરી કરશે, જેથી બાળકોને બંને સેવાઓનો લાભ એકસાથે મળશે.
શા માટે રસી જરૂરી?
બાળપણમાં આપવામાં આવેલી રસીથી મળતું રક્ષણ લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે ૫, ૧૦ અને ૧૬ વર્ષની ઉંમરે આ રસી આપવી અનિવાર્ય છે. આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત, અસરકારક અને સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે.
ટીડી- ટીટેનસ અને ડિફથેરિયા રસી બાળકોને બે ગંભીર ચેપી રોગો સામે રક્ષણ આપે છે. ટીટેનસ ઘા કે ઇજા દ્વારા શરીરમાં જીવાણુ પ્રવેશવાથી થાય છે, જેમાં સ્નાયુઓ ખેંચાય છે, જડબું બંધ થઈ જાય છે અને જીવનું જોખમ ઊભું થઈ શકે છે. ડિફથેરિયા ગળા અને શ્વસનતંત્રને અસર કરે છે, જેનાથી ગળામાં પડ જામી જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
ડીપીટી – ટીટેનસ, ડિફથેરિયા અને પર્ટુટીસ રસી, પર્ટુટીસ (ઉટાટીયુ) એ શ્વસનતંત્રનો અત્યંત ચેપી રોગ છે, જેમાં દર્દીને અતિશય તીવ્ર ઉધરસના હુમલા આવે છે, શ્વાસ લેતી વખતે અતિ અવાજ આવે છે અને ઉધરસ ખાધા પછી ઉલટી કે શ્વાસ રુંધાવાની સમસ્યા જોવા મળે છે. ટીડી અને ડીસીપી રસી લેવાથી આ તમામ સમસ્યાઓથી બાળકોને સુરક્ષિત રાખી શકાય છે.
આ બેઠકમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, આઈસીડીએસ, બાળ રોગ નિષ્ણાંત, વાસ્મો અને અન્ય વિભાગોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

