ગાંધીનગર

ભારે વરસાદની આગાહી ખોટી પડી? ગાંધીનગરમાં છાંટોય વરસાદ નહીં, શાળાઓ બંધ રહેતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો

ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના આધારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. જોકે દિવસ દરમિયાન શહેરના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો નહીં અને અનેક વિસ્તારોમાં માત્ર સામાન્ય છાંટા પડ્યા હતા. જેના કારણે વાલીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે.

શાળાઓ બંધ રહેતાં હજારો વિદ્યાર્થીઓનો એક દિવસનો અભ્યાસ બગડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. વાલીઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે ભારે વરસાદ પડ્યો જ નહીં, ત્યારે આ નિર્ણયના કારણે થયેલા શૈક્ષણિક નુકસાનની જવાબદારી કોણ લેશે?

આ ઘટનાને લઈને લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો સરકારને ભારે વરસાદની આગાહી પર સંપૂર્ણ વિશ્વાસ હતો, તો શું આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી પૂરતી નહોતી? કેટલાક લોકોનું માનવું છે કે સાવચેતી જરૂરી છે, પરંતુ આગાહી ખોટી સાબિત થાય ત્યારે તેની જવાબદારી અને સમીક્ષા પણ એટલી જ જરૂરી હોવી જોઈએ.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ જાણીતા હવામાન આગાહીકાર નું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. ભૂતકાળમાં તેમની આગાહીઓ ખોટી પડતાં કેટલાક વિજ્ઞાનપ્રચારકોએ જાહેરમાં ટીકા કરી હતી અને કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. હવે લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જ્યારે સરકારી આગાહી છતાં ગાંધીનગરમાં નોંધપાત્ર વરસાદ પડ્યો નથી, ત્યારે શું સરકારી આગાહીની પણ એ જ રીતે સમીક્ષા કરવામાં આવશે? અને અગાઉ અંબાલાલ પટેલની આગાહીઓ સામે કડક વલણ અપનાવનાર લોકો હવે આ મુદ્દે મૌન કેમ છે?

હવામાનની આગાહી સંભાવનાઓના આધારે કરવામાં આવતી હોવાથી તેમાં ફેરફાર શક્ય હોય છે. છતાં આ ઘટનાએ આગાહીની ચોકસાઈ, વહીવટી નિર્ણયોની પ્રક્રિયા અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડતી અસર અંગે ગંભીર ચર્ચા ઊભી કરી છે. હવે લોકોની નજર સરકાર અને સંબંધિત વિભાગો તરફ છે કે તેઓ આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરે છે કે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *