ગાંધીનગર

ગાંધીનગર ખાતે વિશેષ રોજગાર મેળા થકી મહિલા રોજગાર દિવસની ઉજવણી કરાઈ

ગાંધીનગર તા.૦૪ ઓગસ્ટ –
ગાંધીનગર ખાતે સર્વ વિદ્યાલયના પરિસરમાં મહિલા અને બાળ વિકાસ, રોજગાર વિભાગ તેમજ ઉમા આર્ટસ અને નાથીબા કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે વિશેષ મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રીટાબેન પટેલે રોજગાર મેળા થકી દીકરીઓને રોજગારી અને સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરનાર કંપનીઓના એમ્પ્લોયીઝ અને પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે મેડિકલ, નર્સિંગ, શિક્ષણ કે રાજકીય ક્ષેત્રમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી તમામ જગ્યાએ દીકરીઓ આગળ વધી રહી છે. મહિલાઓને માત્ર એક તક કે પ્લેટફોર્મની જરૂર હોય છે, ત્યારબાદ તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. વર્તમાનમા શાળા-કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કાર્યક્રમોમાં પણ પ્રથમ ત્રણ ક્રમાંકે દીકરીઓ જ બાજી મારતી જોવા મળે છે. ભૂતકાળમાં બાળપણથી જ દીકરા-દીકરી વચ્ચે રમકડાં અને ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવતો હતો. પરંતુ વર્તમાન સમયમાં આ ભેદભાવ દૂર થયો છે. આજે માતા-પિતા પોતાની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં દીકરાની જેમ દીકરીને પણ ઉચ્ચ શિક્ષણ અપાવી રહ્યા છે.
પરિવારને આર્થિક રીતે મજબૂત કરવા તેમજ પોતાના આંતરિક વિકાસ માટે મહિલાઓ ઘરનો ઉંબરો ઓળંગીને બહાર નીકળી રહી છે. જે પરિવારોમાં મહિલાઓએ જવાબદારી ઉપાડી છે, તે પરિવાર અને સમાજ બંને સમૃદ્ધ બન્યા છે. યુ.એસ.એ. અને યુ.કે. જેવા દેશો એટલા માટે વિકસિત છે કારણ કે ત્યાં પુરુષોની સાથે મહિલાઓ પણ ખભેથી ખભો મિલાવીને કામ કરે છે. જો ભારતને વિશ્વગુરુ બનાવવું હોય તો દેશ રૂપી રથના પૈડાં (પુરુષ અને સ્ત્રી) સમાન રીતે મજબૂત હોવા જરૂરી છે.
ધારાસભ્યશ્રીએ કડી સ્થિત ‘સર્વ વિદ્યાલય’માં પોતાના અભ્યાસના દિવસો યાદ કરતા પપૂ. છગનબા અને માણેક દાદાના પાટીદાર સમાજમાં શિક્ષણના દીવા પ્રગટાવવાના ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું. તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો કે આજે પણ આ શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલા શિક્ષિકાઓની સંખ્યા સૌથી વધુ છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલેએ નારીને સૃજનનું કેન્દ્ર જણાવી કહ્યું હતું કે, આપણા શાસ્ત્રો અને ધર્મ સિદ્ધાંતોમાં નારીને અનન્ય અને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવ્યું છે. પુરુષ અને પ્રકૃતિથી જ આખા વિશ્વનું સર્જન થાય છે. પ્રકૃતિ વગર કોઈપણ સર્જન શક્ય નથી, જેથી નારી એ સૃષ્ટિના સર્જનનો મૂળ આધાર છે. ભૂતકાળમાં નારી ભ્રૂણ હત્યા જેવી અનિષ્ટ પ્રથા ચાલતી હતી, પરંતુ સરકારના સઘન અને સતત પ્રયાસોના પરિણામે આજે પરિસ્થિતિ બદલાઈ છે. દેશમાં સ્ત્રી-પુરુષના જાતિ પ્રમાણમાં હકારાત્મક સુધારો આવ્યો છે અને પરિસ્થિતિ સ્થિર થઈ રહી છે, જે સમાજ માટે ખૂબ આશાસ્પદ બાબત છે.
તેમણે કહ્યું કે, ભારત વિશ્વનો સૌથી યુવા દેશ છે. દેશની મોટી વસ્તી ૫૦ વર્ષથી ઓછી વયની છે. આ યુવા ધન અને વિશેષ કરીને મહિલા શક્તિ જો દેશની ઇકોનોમીમાં સક્રિય ભાગીદારી નોંધાવે, તો ભારત આર્થિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી શકે છે. ઘરની આર્થિક સ્થિતિ ગમે તેટલી સારી હોય, છતાં મહિલાઓએ પોતાના પગભર થવું અને કૌશલ્ય દાખવવું જરૂરી છે. લગ્ન પછી પણ પોતાની કારકિર્દી અને સ્વતંત્રતા જાળવી રાખવી જોઈએ. મહિલાઓની આર્થિક સ્વતંત્રતા માત્ર તેમના પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ તેનાથી સમગ્ર પરિવાર અને આવનારી પેઢીના શિક્ષણ અને સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર પડે છે. ફાઇનાન્સિયલી સ્વતંત્ર મહિલા કૌટુંબિક હિંસા કે અત્યાચાર સામે પણ મજબૂતાઈથી ઊભી રહી શકે છે.
કલેક્ટરશ્રીએ રોજગાર મેળામાં ઉપસ્થિત તમામ મહિલાઓને પોતાના આરોગ્યની સંભાળ સાથે આર્થિક રીતે આત્મનિર્ભર બની સમાજમાં આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમારોહમાં મહાનુભાવના હસ્તે પ્રતિક સ્વરૂપે ત્રણ યુવતીઓને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, સાથે જ મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ મહિલા વ્યવસાયિકોના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *