ગાંધીનગરગુજરાત

રાજ્યમાં આગામી ૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે : કૃષિમંત્રી આર.સી.ફળદૂ

ગાંધીનગર :
કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ જણાવ્યુ છે કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરીને આગામી તા.૨૧મી ઓક્ટોબર ૨૦૨૦થી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

મંત્રીશ્રી ફળદુએ મીડિયાને વિગતો આપતાં કહ્યુ કે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા માટે તા.૧લી ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને ૨૦ દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. ત્યારબાદ તા.૨૧મી ઓકટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.
ખરીદીની પ્રક્રિયા રાજ્યમાં ૯૦ દિવસ સુધી ચાલશે.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે. એ માટે ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવી છે.

શ્રી ફળદુએ ઉમેર્યું કે રાજ્યમાં ચાલુ વર્ષે વર્ષાઋતુમાં સારો વરસાદ થવાના પરિણામે રવિ અને ઉનાળુ સીઝનમાં પણ ખેડૂતો વધુ વાવેતર કરી શકશે. રાજ્યમાં મગફળીની ખરીદી કરવામાં આવશે, એમાં પ્રતિ મણ રૂ. ૧૦૫૫ના ભાવે ખરીદી કરાશે. સામાન્ય રીતે લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે.
પરંતુ આ વર્ષે અધિક માસ છે અને જે ખેડૂતોએ વહેલી મગફળીનું વાવેતર કર્યું હતું એવા વિસ્તારના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા વહેલી કરવા માટે રજૂઆત કરતા રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ સંવેદનશીલ નિર્ણય લઇ વહેલી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યું કે મગફળીની ખરીદી બાદ આગામી સમયમાં કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

મંત્રીશ્રી ફળદુએ ઉમેર્યું કે રાજ્યમાં અતિવૃષ્ટિના પરિણામે જે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે એ માટે હર હંમેશની જેમ સરકાર ખેડૂતોના પડખે ઊભી રહી છે. જે ખેડૂતોના ઊભા પાકને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે એમને SDRFના ધોરણે સહાય કરવાનો અમારી સરકારે નિર્ણય કર્યો છે. આ માટે સર્વેની કામગીરી ચાલુ છે. જે પંદર દિવસમાં પૂર્ણ કરવાની છે.
અંદાજે રાજ્યમાં ૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જે પૈકી ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને જરૂર જણાય તો ખેડૂતોના હિત માટે સર્વેની કામગીરી લંબાવવામાં પણ આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x