ગાંધી આશ્રમથી શરૂ થનારી દાંડી યાત્રામાં નરેન્દ્ર મોદી પણ ચાલશે, સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ થોડો સમય પદયાત્રા કરશે
દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ તા.12 માર્ચના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને તેનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.
યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે
વડાપ્રધાન આ માટે ખાસ અમદાવાદ આવશે, આ યાત્રામાં 81 ગાંધી અનુયાયીઓ જોડાશે અને 1930માં ઐતિહાસિક દાંડી યાત્રા સમયે મહાત્મા ગાંધીએ જે માર્ગો પર આ યાત્રા યોજી હતી. તેના પર જ આ યાત્રા આગળ વધશે. આ માટે અમદાવાદમાં સાબરમતી આશ્રમ નજીક જ સ્વ.વડાપ્રધાન મોરારજી દેસાઈની જે સમાધી ‘અક્ષર ઘાટ’ છે, ત્યાં એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અને કેન્દ્રના સાંસ્કૃતિક વિભાગ દ્વારા મૂળ દાંડીયાત્રામાં જેઓએ ભાગ લીધો હતો.
એક મહિનામાં મોદીની બીજી મુલાકાત
તેમના કુટુંબીજનોને ખાસ હાજરી આપવા જણાવશે. ત્યારે તેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહેશે. આ માટેની તડામાર તૈયારીઓ શરુ થઈ છે. મોદી હાલમાં જ કેવડીયા કોલોની ખાતે જોઈન્ટ કમાન્ડની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા. આ માસમાં તેમની બીજી ગુજરાત મુલાકાત હશે.
શું છે દાંડીયાત્રાનો ઇતિહાસ?
12 માર્ચ 1930ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી અંગ્રેજો દ્વારા મીઠા પર લગાવવામાં આવેલા કરના વિરોધમાં ચળવળ શરૂ કરી હતી. ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી નવસારીના દરિયાકિનારે આવેલા દાંડી ગામ સુધી યાત્રા કરી હતી. આ યાત્રામાં તેમની સાથે કુલ 80 જેટલા લોકો જોડાયા હતા. દાંડીયાત્રા સતત 24 દિવસ સુધી ચાલી અને 6 એપ્રિલના રોજ દાંડી ગામ ખાતે યાત્રા પૂર્ણ કરી હતી. મીઠા પર લગાવવામાં આવેલા કરને રદ કરવા માટે બનાવવામાં આવેલ યોજનાને પગલે અંગ્રેજોએ તેમની ધરપકડ પણ કરી હતી. 24 દિવસની દાંડીયાત્રામાં ગાંધીજીએ કુલ 8 જિલ્લાના 48 ગામોને આવરી લીધા હતા.
આશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ પ્રારંભ કરવા નિર્ણય
દેશની આઝાદી અને મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા અમદાવાદના સાબરમતી આશ્રમના નવીનીકરણનો પ્રોજેકટ પ્રારંભ કરવા નિર્ણય લીધો છે જે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણક્ષના અધ્યક્ષસ્થાને એક કમીટીની રચના કરવામાં આવી છે. જેમાં રાજયસભાના સાંસદ નરહરી અમીન, સાંસદ કિરીટ સોલંકી ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ગાંધી વિચારધારાના મહાનુભાવો ગાંધી આશ્રમના સંચાલકો, ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પો.ના તથા અમદાવાદ મ્યુનિસીપલ કોર્પો.ના અધિકારીઓને સામેલ કરાયા છે. મુખ્ય ગણતંત્ર કમીટી ઉપરાંત રાજયના મુખ્ય સચિવના અધ્યક્ષતામાં એકઝીકયુટીવ કાઉન્સીલ અને અમદાવાદ મ્યુ. કમિશ્ર્નરની અધ્યક્ષતામાં એક અમલીકરણ સમીતીની પણ રચના થઈ છે.