ગાંધીનગરગુજરાત

ગાંધીનગર : મહાત્મા મંદિર ખાતે આજથી બે દિવસીય ‘નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર’ યોજાશે

ગાંધીનગર :

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, શિક્ષણ મંત્રાલય, તેમજ ગુજરાતના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આજથી બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠક યોજાનાર છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોર સહિત દેશભરના શિક્ષણ મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં બે દિવસીય કોન્ફરન્સ ખુલ્લી મૂકાશે. આ પ્રસંગે નેશનલ એજ્યુકેશન પોલીસી-2020ની સ્ટીયરીંગ કમિટીના ચેરમેન કે. કસ્તુરીરંગન પણ ઉપસ્થિત રહેશે તેમ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે. શિક્ષણ વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝિટલ ઈન્ડીયાના સ્વપ્નને સાકાર કરી ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર ગુજરાતના શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવનાર શિક્ષણ વિભાગ અંતર્ગત ચેતના કેન્દ્ર સમાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર કાર્યાન્વિત કરવામાં આવ્યુ છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત તારીખ 18 એપ્રિલ, 2022ના રોજ મુલાકાત કરીને કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અમલીકૃત કરવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવા સંસ્થાનની એક ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. જેના અનુસંધાનમાં આ બે દિવસીય કોન્ફરન્સનું આયોજન દેશના પ્રથમ એવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિધિવત નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા મોટા ભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણમંત્રીઓ, શિક્ષણ સચિવો અને અન્ય પ્રતિનિધી મંડળો ઉપસ્થિત રહેનાર છે.

આ કોન્ફરન્સમાં આજે તા. 1 જૂનના રોજ દેશભરમાંથી ઉપસ્થિત રહેનાર મહાનુભાવોને રાષ્ટ્રીય શિક્ષણ નિતીના અમલીકરણના ભાગ રૂપે ટેક્નોલોજી દ્વારા શિક્ષણ અને ગવર્નન્સને ઉદાહરણ રૂપે રજૂ કરતા કોન્ફરન્સના હાર્દ સમા વિદ્યા સમીક્ષા કેન્દ્રથી સંપૂર્ણપણે માહિતગાર કરવામાં આવશે. જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની ગતિવિધીઓ અને કાર્યપ્રણાલિઓ રૂબરૂ નિહાળે અને સમજે, સાથોસાથ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી કેવી રીતે સમગ્ર ગુજરાતના શિક્ષણને મોનીટર કરી, બાળકોને આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે તેનું ડેટા આધારીત નિદર્શન પ્રત્યક્ષ નિહાળે તે હેતુથી કેન્દ્રના શિક્ષણ પ્રધાન સહિત તમામ મહાનુભાવો આખા દિવસ દરમિયાન અલગ-અલગ ચાર જૂથમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલ બાયસેગ, નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટી અને ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ (iACE)ની પણ મુલાકાત કરશે. આ તમામ મહાનુભાવો રાત્રે મુખ્યમંત્રી સાથે સૌજન્ય મુલાકાત કરશે.

તા. 2 જૂનના રોજ આ કાર્યક્રમ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે વિધિવત કોન્ફરન્સ યોજાશે. જેમાં ઉદઘાટનથી લઈ અન્ય ચર્ચા-ગોષ્ઠિઓ અને પ્રેઝન્ટેશન જેવા વિવિધ કાર્યક્રમો સમગ્ર દિવસ દરમિયાન યોજાશે. જેમાં નેશનલ એજ્યુકેશન પોલીસી-2020, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી શ્રેષ્ઠ યોજનાઓ, નેશનલ એજ્યુકેશન પોલીસીના અમલીકરણ, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ(NETF), નેશનલ ડીઝીટલ એજ્યુકેશન આર્કીટેક્ચર(NDEAR) વિગેરે ઉપર વિસ્તૃત ચર્ચા તેમજ પ્રેઝન્ટેશન રજૂ થનાર છે. સાથોસાથ આ કાર્યક્રમમાં પધારેલા વિવિધ રાજ્યોના શિક્ષણમંત્રીઓ એક-બીજા સાથે ચર્ચા કરી પોત-પોતાના રાજ્યોમાં બાળકોના શિક્ષણ માટે લીધેલ હકારાત્મક અને નોંધપાત્ર પગલાઓ વિશે આદાન-પ્રદાન કરશે. જેના થકી સમગ્ર ભારત દેશમાં થયેલ શિક્ષણના નોંધપાત્ર પ્રકલ્પો અને વિવિધ યોજનાઓનો લાભ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને મળશે તેમ વધુમાં શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x