અગ્નિવીરોને લીલા લહેર! કેન્દ્ર સરકારે કરી ૧૦ ટકા અનામત અને વયમર્યાદામાં છૂટની જાહેરાત
કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતીની નવી પ્રક્રિયામાં ભારતીય સેનામાં જોડાનારા અગ્નિવીરોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ અગ્નિવીરો માટે BSFમાં ખાલી જગ્યાઓમાં 10 ટકા અનામતની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે અગ્નિવીરોને ઉપલી વય-મર્યાદાના માપદંડમાં છૂટછાટ આપવામાં આવશે. જો કે તે તેના પર નિર્ભર કરે છે કે તેઓ અગ્નિવીરની પ્રથમ બેચનો ભાગ છે કે પછીની બેચનો. ગૃહ મંત્રાલયે 6 માર્ચે આ સંદર્ભમાં જાહેરાતના આદેશને મંજૂરી આપતાં નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે.
સીધી સેનામાં કાયમી નોકરી આપવામાં આવશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે અગ્નિવીર ભરતીની પ્રથમ બેચમાંથી પાસ આઉટ થનારા 25 ટકા ઉમેદવારોને સીધી સેનામાં કાયમી નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત બાકીના 75 ટકા અગ્નવીર ઉમેદવારોને વિવિધ સૈન્ય એકમોની નિમણૂક, પોલીસ ભરતી, કેન્દ્રીય સશસ્ત્ર દળો વગેરેમાં અગ્રતા આપવામાં આવશે. આ સિવાય અન્ય ઘણા ફાયદાઓ પણ મળે છે.
પ્રથમ બેચ માટે ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ
આ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ બાકીના 75 ટકા ઉમેદવારો કે જેઓ અન્ય સૈન્ય દળોમાં અરજી કરવા ઇચ્છુક હશે તેઓ આ સૂચના હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સની ભરતીમાં 10 ટકા અનામત ઉપરાંત પ્રથમ બેચના તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય-મર્યાદાના નિયમમાં પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે.