ગાંધીનગર બનશે ભિક્ષુક મુક્ત શહેર: સરકારનો માસ્ટર પ્લાન!
ગુજરાતનું પાટનગર, ગાંધીનગર, એક નવી પહેલ સાથે આગળ વધી રહ્યું છે. શહેરમાં ભીખ માંગવાની સમસ્યાને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ગાંધીનગર શહેરને ભિક્ષુક મુક્ત બનાવવાની દિશામાં મહાનગરપાલિકાએ એક સર્વે શરૂ કર્યો છે. આ સર્વેમાં મુખ્યત્વે ટ્રાફિક સિગ્નલો અને ધાર્મિક સ્થળો પર ભીખ માંગતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશના દસ શહેરોમાં ભિક્ષુક મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકા ભિક્ષુકોને શોધીને તેમને રોજગારી આપવાનો પ્રયાસ કરશે, ખાસ કરીને ભીખ માંગતા બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સર્વે દરમિયાન ભીખ માંગવાના કારણો પણ જાણવામાં આવશે.
સરકાર ‘સ્માઈલ યોજના’ હેઠળ ભિક્ષુકોનું પુનર્વસન કરશે, જેમાં તેમના આરોગ્ય અને શિક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ભિક્ષુકોને તેમની ક્ષમતા અનુસાર તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વારાણસીને દેશનું પ્રથમ ભિક્ષુક મુક્ત શહેર બનાવવાની યોજના છે. અહીં ‘વિદ્યાદાનમ’ કાર્યક્રમ હેઠળ ભિક્ષુકોને શિક્ષણ અને રોજગાર આપવાની પહેલ કરવામાં આવી છે. વર્ષ 2027 સુધીમાં વારાણસીને સંપૂર્ણપણે ભિક્ષુક મુક્ત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.