કેદારનાથ જઈ રહેલા હેલિકોપ્ટરનું હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ: તમામ યાત્રીઓ સુરક્ષિત
ઉત્તરાખંડ: કેદારનાથ યાત્રા માટે બઢાસુ (સિરસી) થી ઉડાન ભરેલા એક હેલિકોપ્ટરમાં શનિવારે ટેકનિકલ ખામી સર્જાતા તેને હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. સદનસીબે, આ ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ ૫ મુસાફરો અને પાઇલટ સુરક્ષિત રહ્યા હતા.
આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાછળના ભાગને થોડું નુકસાન થયું હતું, અને ટક્કરના કારણે હાઈવે પર પાર્ક કરેલા એક વાહનને પણ ક્ષતિ પહોંચી હતી. ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UCADA) એ આ ઘટનાની નોંધ લીધી છે અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને તેની જાણ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. હેલિકોપ્ટર કેદારનાથ યાત્રા પર જઈ રહ્યું હતું અને તેમાં સવાર તમામ વ્યક્તિઓ તીર્થયાત્રીઓ હોવાનું જાણવા મળ્યું છે. ઈમરજન્સી લેન્ડિંગ બાદ તરત જ તમામ યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા.