જંબુસરમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ: ઠાકોર સેના અને ગ્રામજનોએ પ્રાર્થના કરી
જંબુસર: અમદાવાદમાં સર્જાયેલી કરુણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ દિવંગતોને જંબુસરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, જંબુસર તાલુકા દ્વારા મંગના ગામના મહાદેવ મંદિરે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે મંગના ગામના સર્વ સમાજના લોકો અને જંબુસર તાલુકા ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને દીપ પ્રજ્વલિત કરી, દુર્ઘટનાના મૃતકોના દિવ્ય આત્માને શાંતિ અને સદગતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ પ્રભુને એ પણ પ્રાર્થના કરી કે, જે લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેઓ ઝડપથી સાજા થાય અને તેમના પરિવારોને આ કપરા સમયે સહનશક્તિ મળે. આ શ્રદ્ધાંજલિ સભામાં સૌના હૃદયમાં કરુણા અને સંવેદના છલકાઈ રહી હતી.