અમદાવાદ સિવિલમાં કડક બંદોબસ્ત: પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવદેહ આજે પરિવારને સુપરત કરાશે
અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આજે સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બેરિકેડ્સ લગાવી દેવાયા છે. આ સુરક્ષા વ્યવસ્થા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીના પાર્થિવદેહને આજે તેમના પરિવારને સુપરત કરવાના સંદર્ભમાં કરવામાં આવી છે. સવારે ૧૦:૧૫ વાગ્યે મીડિયાને મૃતદેહ સોંપવામાં આવે તે સ્થળની નજીક ખસેડવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સવારે ૧૦:૪૫ વાગ્યે સિવિલ હોસ્પિટલ પહોંચશે.
નોંધનીય છે કે, સ્વ. વિજય રૂપાણીનું અવસાન અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં થયું હતું. તેમના પાર્થિવદેહની DNA ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સન્માનપૂર્વક પરિવારને સોંપવામાં આવશે, ત્યારબાદ રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ દુઃખદ પ્રસંગે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ છે અને અમદાવાદ સિવિલ ખાતે મોટી સંખ્યામાં બેરીકેડ ગોઠવી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.