અમદાવાદ વિમાન દુર્ઘટના: સિવિલ હોસ્પિટલનો ‘ગોલ્ડન અવર’ રિસ્પોન્સ, અનેકને જીવતદાન
ગાંધીનગર, અમદાવાદમાં AI-171 વિમાન ક્રૅશ થયા બાદ સિવિલ હોસ્પિટલે ઝડપી અને સુચારુ તબીબી સેવા પૂરી પાડીને શ્રેષ્ઠ ઇમરજન્સી રિસ્પોન્સનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૅડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, આ તેમની કારકિર્દીની સૌથી પડકારજનક પરિસ્થિતિ હતી, છતાં હોસ્પિટલના સ્ટાફના ટીમવર્ક અને તૈયારીને કારણે યોગ્ય સંચાલન થયું.
૧૨ જૂને ક્રેશ થયેલી ફ્લાઇટ AI-171માં ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં મોટાભાગનાના મૃત્યુ થયા હતા. ઘટનાસ્થળથી માત્ર એક કિલોમીટર દૂર હોવાને કારણે સિવિલ હોસ્પિટલે મુખ્ય ભૂમિકા ભજવી. ડૉ. જોશીએ જણાવ્યું કે, મેસેજ મળતાં જ ઓપરેશન થિયેટર છોડી ટ્રોમા સેન્ટર પહોંચી, તમામ ઉપલબ્ધ ડૉક્ટર, નર્સ અને સપોર્ટ સ્ટાફને બોલાવ્યા.
હોસ્પિટલે ઝડપથી ગ્રીન કોરિડોર બનાવ્યો અને દરેક દર્દી માટે ચાર નિષ્ણાત ટીમો નિયુક્ત કરી. શરૂઆતમાં જીવંત દર્દીઓ આવતા હતા, પરંતુ ટૂંક સમયમાં ગંભીર રીતે દાઝી ગયેલા અને મૃત દર્દીઓ આવવા લાગ્યા. ૩૦ મિનિટમાં આરોગ્ય સચિવ અને મંત્રી માર્ગદર્શન માટે હોસ્પિટલ પહોંચ્યા. ત્રણ વોર્ડ અને છ ટ્રોમા મેનેજમેન્ટ ઝોનમાં ૪૦ સ્ટાફ સભ્યો તૈનાત કરાયા. ‘ગોલ્ડન અવર’માં સરળ સારવાર માટે તબીબી પુરવઠો પણ અગાઉથી સંકલિત કરાયો હતો. ડૉ. જોશીએ સ્ટાફના ટીમવર્ક અને પ્રતિબદ્ધતાને બિરદાવતા જણાવ્યું કે, હોસ્પિટલ આ મુશ્કેલ પરિસ્થિતિમાં અડીખમ ઊભી રહી.