ઈરાનમાંથી ‘ઓપરેશન સિંધુ’ હેઠળ ૧૧૦ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત, ૯૦ કાશ્મીરી
નવી દિલ્હી: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને પગલે, ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી ‘ઓપરેશન સિંધુ’ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત, ગુરુવારે (૧૯ જૂન) વહેલી સવારે ૧૧૦ ભારતીય વિદ્યાર્થીઓનું એક વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પહોંચ્યું છે. આ વિદ્યાર્થીઓને સૌપ્રથમ ઈરાનથી આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ભારત પરત લાવવામાં આવ્યા. પરત ફરેલા વિદ્યાર્થીઓમાંથી ૯૦ જેટલા જમ્મુ-કાશ્મીરના છે, જેઓ ત્યાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા.
દિલ્હી એરપોર્ટ પર પોતાના બાળકોને મળવા આવેલા પરિવારોએ હાશકારો અનુભવ્યો હતો. રાજસ્થાનના કોટાથી આવેલા એક પિતાએ ભારત સરકાર અને ભારતીય દૂતાવાસનો આભાર વ્યક્ત કર્યો હતો. ઈરાનથી પરત ફરેલા વિદ્યાર્થી અમન અઝહરે જણાવ્યું કે, “હું ખૂબ જ ખુશ છું… ઈરાનમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. યુદ્ધ કોઈના માટે સારું નથી, તે માનવતાને ખતમ કરે છે.” આ ‘ઓપરેશન સિંધુ’ ભારતીય નાગરિકોની સલામતી માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.