બનાસકાંઠા: જસરામાં વૃદ્ધ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોશી સહિત ૪ ઝડપાયા
બનાસકાંઠા: લાખણી તાલુકાના જસરા ગામમાં SMCના PI એ.વી. પટેલના માતા-પિતા, વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલની ઘાતકી હત્યાનો ભેદ પોલીસે માત્ર ૭૨ કલાકમાં ઉકેલી લીધો છે. બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણાએ ગઈકાલે રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. પોલીસે ધનની લાલચમાં હત્યા કરનાર પાડોશી સહિત ચાર આરોપીઓને દબોચી લીધા છે.
પોલીસ તપાસ મુજબ, દેવામાં ડૂબેલા મુખ્ય સૂત્રધાર આરોપી સુરેશભાઈ શામળાભાઈ પટેલ (રહે. જસરા), જે બ્લેક મેજિકનો જાણકાર છે, તેણે પોતાના મામા શામળાભાઈ રૂપાભાઈ પટેલ અને ગુરુ દીલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી (રહે. રામપુરા, દામા) સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. વૃદ્ધ દંપતી એકલા રહેતા હોવાનો લાભ ઉઠાવી, હત્યા બાદ ₹૨.૫૦ લાખની લૂંટ ચલાવાઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે, પગમાં પહેરેલા કળા ન નીકળતા હોવાથી આરોપીઓએ વૃદ્ધાના પગ પણ કાપી નાખ્યા હતા.
હત્યા સમયે અવાજ બહાર ન જાય તે માટે ટ્રેક્ટર અને થ્રેસર ચાલુ રાખવામાં આવ્યા હતા. આ આખું કાવતરું ધન મેળવવા અને કોઈને મારીને તેના દાગીનાની વિધિ કરવાથી વધુ ધનલાભ થાય તેવી અંધશ્રદ્ધાને કારણે રચાયું હતું. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.