વડનગરમાં રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: ભૂજંગાસનમાં વર્લ્ડ રેકોર્ડનું લક્ષ્ય
ગાંધીનગર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં ૨૧મી જૂન, ૨૦૨૫ના રોજ રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. “યોગ ફોર વન અર્થ – વન હેલ્થ”ની થીમ સાથે, ગુજરાતમાં “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના ધ્યેયથી રાજ્યવ્યાપી ઉજવણી થશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના સર્મિષ્ઠા તળાવ ખાતે સવારે ૬ વાગ્યે યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશાખાપટ્ટનમથી યોગ સાધનામાં જોડાશે અને દેશવાસીઓને મેદસ્વિતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીની પ્રેરણા આપતો સંદેશ આપશે, જેનું વડનગર સહિત વિવિધ સ્થળોએ જીવંત પ્રસારણ કરાશે.
રાજ્યભરમાંથી અંદાજે ૧ કરોડ ૫૦ લાખથી વધુ નાગરિકો આ યોગ દિવસમાં સહભાગી થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ૧૮,૨૨૬ ગ્રામ પંચાયતો, ૨૫૧ તાલુકા પંચાયતો, ૬૦,૧૦૦ શાળાઓ-કોલેજો, ૬૫૦૦ વેલનેસ સેન્ટર્સ અને પોલીસ મથકો સહિત ૧૦૦ અમૃત સરોવરના સ્થળોએ સામૂહિક યોગ કાર્યક્રમો યોજાશે. ગુજરાત ગત વર્ષે ૧.૩૧ કરોડ લોકોની સહભાગીતા સાથે અગ્રેસર રહ્યું હતું. આ વર્ષે વડનગરના સર્મિષ્ઠા તળાવ ખાતે ભૂજંગાસન મુદ્રામાં નવો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય છે.