ઉત્તરાખંડમાં બસ અલકનંદા નદીમાં ખાબકી: યાત્રાળુઓ સહિત ૧૮-૧૯ લોકો સવાર, એકનું મૃત્યુ
રુદ્રપ્રયાગ: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. રુદ્રપ્રયાગના ઘોલથિર વિસ્તારમાં મુસાફરોને બદ્રીનાથ દર્શન માટે લઇ જઇ રહેલી એક ટેમ્પો ટ્રાવેલર બસ કંટ્રોલ ગુમાવતાં અલકનંદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટના સવારે લગભગ ૭:૪૦ વાગ્યે બની હતી. મળતી માહિતી મુજબ, બસમાં આશરે ૧૮ થી ૧૯ જેટલા લોકો સવાર હતા. પોલીસ મુખ્યાલયના પ્રવક્તા આઈજી નિલેશ આનંદ ભરણેએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં ૭ લોકોને બચાવી લેવાયા છે. તેમાંથી એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે ૬ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યાત્રાધામોમાં જતા ગુજરાતના યાત્રાળુઓ માટે આ સમાચાર ચિંતાજનક બન્યા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.