ગાંધીનગર

સાદરા ગામમાં ભક્તિસભર માહોલમાં નીકળી રાધાવલ્લભ રથયાત્રા

ગાંધીનગર તાલુકાના સાદરા ગામે આવેલા રાધાવલ્લભ મંદિરમાંથી શણગારેલા રથમાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 2:00 વાગ્યે પ્રસ્થાન થયેલી આ યાત્રામાં સમગ્ર ગામ ભક્તિમય બની ગયું હતું, અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. રથયાત્રાના પ્રારંભે નાની બાળકીઓએ પરંપરાગત રીતે સામૈયું કરી વાતાવરણને પવિત્ર બનાવ્યું હતું. ત્યારબાદ ગામના સરપંચ શ્રી મહેશભાઈ રાવલે વિધિવત રીતે પૂજા-અર્ચના કરીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા નીકળ્યા હોય તેમ, રથયાત્રા ગામના દરેક વિસ્તારમાંથી પસાર થઈ હતી.

ભગવાનના રથને ખેંચવાના પુણ્યનો લાભ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભીડ ઉમટી પડી હતી. શ્રદ્ધાળુઓ માટે ગામમાં ઠેર ઠેર બટાકા પૌવા, પાણી અને શરબતના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા, જેથી ભક્તોને કોઈ અગવડ ન પડે. આ રથયાત્રાની સૌથી નોંધનીય બાબત એ હતી કે, તમામ ધર્મના લોકોએ આ યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેણે સાચા અર્થમાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. “જય રણછોડ માખણ ચોર” ના ગગનભેદી નારા અને ડીજેના તાલે આખું ગામ ભક્તિરસમાં તરબોળ થયું હતું. આ રથયાત્રામાં દિવ્યાબેન ચૌધરી અને આશાબેન ચૌહાણ જેવા અગ્રણીઓ પણ જોડાયા હતા. સાંજે છ વાગ્યે ભગવાનનો રથ નિજ મંદિરે પરત ફર્યો હતો. આ ભવ્ય રથયાત્રાને સફળ બનાવવા માટે સાદરા ગામના શિક્ષક શ્રી ધર્મેન્દ્રભાઈ રાવલ, પ્રદિપસિંહ ચાવડા, શંકરસિંહ રહેવર અને તેમના મિત્રોએ સખત મહેનત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *