કંડલાથી ઓમાન જતાં જહાજમાં ભીષણ આગ: ૧૪ ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત
નવી દિલ્હી: ગુજરાતના કંડલા બંદરેથી ઓમાન તરફ જઈ રહેલા પલાઉ એમટી યી ચેંગ ૬ નામના જહાજના એન્જિન રૂમમાં ગઈકાલે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાને કારણે જહાજની સંપૂર્ણ બત્તી ગુલ થઈ ગઈ હતી. જહાજમાં ભારતીય મૂળના ૧૪ ક્રૂ સભ્યો સવાર હતા, જેમના જીવ જોખમમાં મુકાયા હતા.
ભારતીય નૌસેનાને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મદદ માટે દોડી ગઈ હતી. ઓમાનની ખાડીમાં તૈનાત ભારતીય નૌસેનાના જહાજ INS તબર (INSTabar) ને આ અંગે માહિતી મળતા જ, તેના ૧૩ જવાનો અને પાંચ ક્રૂ સભ્યોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. નૌસેનાની સમયસરની કાર્યવાહીથી તમામ ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત છે.