ગુજરાતના 25 તાલુકામાં માવઠું, હવામાન વિભાગે હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી
સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો છે અને રાજ્યના 25 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતાં હવામાન વિભાગે હજુ પાંચ દિવસ માવઠા માટે એલર્ટ જાહેર કર્યું છે, જેનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
શનિવારે (25 ઓક્ટોબર) વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેમાં નવસારીમાં સૌથી વધુ 4 ઇંચ, વલસાડના ઉમરગામમાં 175 મિ.મી. અને ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં અમરેલીના ધારી અને ખાંભા પંથકમાં પણ માવઠું થયું છે.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જોખમી પરિસ્થિતિને પગલે દરિયાકાંઠાના પોર્ટ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, કપાસ અને તુવેર સહિતના પાકોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

