વિશ્વ એપિલેપ્સી દિવસ નિમિત્તે ખેંચ(વાઈ)જાગૃતિ કાર્યક્રમ
મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન મારફતે “વાઈ અને આંચકી (સીઝર્સ)”વિષયક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી …. વિશ્વ એપિલેપ્સી દિવસના અવસરે મેડિસિન વિભાગ, GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ગાંધીનગર દ્વારા આજે ખેંચ (વાઈ) જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં ખેંચ (વાઈ) અંગે રહેલી ગેરસમજો અને ભ્રમ દૂર કરવો તેમજ આંચકી આવતી વખતે શું કરવું અને શું ન કરવું તેની સાચી અને વૈજ્ઞાનિક માહિતી જનતામાં પહોંચાડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન બીજા વર્ષના મેડિકલ વિદ્યાર્થીઓ દ્વારા ખેંચ (વાઈ) વિષયક જાગૃતિ નાટિકા રજૂ કરવામાં આવી, જેમાં આંચકી સમયે દર્દીની યોગ્ય અને સુરક્ષિત સંભાળ કેવી રીતે લેવી તે સરળ અને અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યું. સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર પ્રેઝન્ટેશન મારફતે “વાઈ અને આંચકી (સીઝર્સ)”વિષયક મહત્વપૂર્ણ સૂચનાઓ જેવીકે શું કરવું અને શું ન કરવું તે જનતા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશેષ જાગૃતિ વ્યાખ્યાન ન્યુરો ફિઝિશિયન ડૉ. રોહન મહેતા દ્વારા આપવામાં આવ્યું, જેમાં તેમણે ખેંચ (વાઈ) એક સારવારયોગ્ય ન્યુરોલોજીકલ સ્થિતિ છે અને સમયસર નિદાન તથા નિયમિત સારવારથી દર્દી સામાન્ય જીવન જીવી શકે છે તે બાબત પર ભાર મૂક્યો. તેમણે ખેંચ (વાઈ) અંગે સમાજમાં રહેલા ભય, અંધશ્રદ્ધા અને કલંક દૂર કરવાની આવશ્યકતા પર પણ પ્રકાશ પાડ્યો. આ પ્રસંગે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મીતા પારેખ, ડૉ. શશી મુન્ધરા તેમજ મેડિસિન વિભાગના અન્ય ફેકલ્ટી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમની પ્રશંસા કરી અને વિદ્યાર્થીઓને જનજાગૃતિ માટે આવા શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો સતત આયોજિત કરવા પ્રોત્સાહન આપ્યું. મેડિસિન વિભાગ, GMERS ગાંધીનગર દ્વારા વિશ્વ એપિલેપ્સી દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમને દર્દીઓ, વિદ્યાર્થીઓ અને હાજર લોકોએ ઉત્સાહપૂર્વક આવકાર આપ્યો અને ખેંચ (વાઈ) અંગે જનજાગૃતિ ફેલાવવામાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો.

