કલેક્ટર મેહુલ કે. દવેએ ગ્રામભારતી મુલાકાત દરમિયાન પરિવાર અને સંસ્કૃતિને જોડતી અનોખી પહેલ કરી
ગ્રામ્ય મુલાકાત અંતર્ગત વહીવટી બાબતોની ચકાસણીની સાથે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કાર સિંચન માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. ગ્રામભારતીની મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સૌને “મોબાઈલના ઉપવાસ” કરવાની એક નવી અને અનોખી અપીલ કરી હતી. કલેક્ટરશ્રીએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોબાઈલનો અતિશય ઉપયોગ આપણી અને આવનારી પેઢીના ભવિષ્યને આપણી સંસ્કૃતિ અને સભ્યતાથી વિપરીત દિશામાં લઈ જઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે તેમણે એક સરળ માર્ગ સૂચવ્યો હતો કે, શરૂઆતમાં માત્ર જમવા બેસો તે સમય પૂરતો મોબાઈલનો ઉપયોગ ટાળવાનો દ્રઢ સંકલ્પ કરો.
વધુમાં સંસ્કાર અને સભ્યતાની વાત કરતાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, જો આપણે પરિવર્તનની શરૂઆત ઘરથી કરીશું તો જ સચોટ પરિણામ શક્ય છે. તેમણે દેશભક્તિને સર્વોપરી ગણાવી રામાયણ અને મહાભારત જેવા પવિત્ર ગ્રંથોને આપણા મૂળ સંસ્કાર ગણાવ્યા હતા. વડીલોના માધ્યમથી નવી પેઢીમાં આ મૂલ્યોનું સિંચન થાય તે માટે તેમણે સંવેદનશીલ આગ્રહ રાખ્યો હતો.વિશેષમાં, કલેક્ટરશ્રીએ લુપ્ત થતા હાલરડાંને ફરી જીવંત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે માતા, દાદી કે નાની હાલરડાં અને વાર્તાઓ દ્વારા શિવાજી અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના જીવન પ્રસંગો બાળકોને સંભળાવશે, ત્યારે જ બાળકો ભવિષ્યમાં દેશના આદર્શ, દેશપ્રેમી અને પરાક્રમી નાગરિક બનશે. અંતમાં તેમણે ટકોર કરી હતી કે, જ્યારે વિદેશીઓ આપણી સંસ્કૃતિથી પ્રભાવિત થઈ તેને અપનાવી રહ્યા હોય, ત્યારે આપણે ગર્વ સાથે આપણી સભ્યતાના રખેવાળ બનવું જોઈએ. આ શુભ કાર્યની શરૂઆત દરેક નાગરિકે પોતાના ઘરથી કરવી જોઈએ તેવો સૌને અનુરોધ કર્યો હતો.

