રાષ્ટ્રીય મેરીટાઇમ દિવસ: સમુદ્રથી સમૃદ્ધિ સુધી રાજ્યની ગૌરવશાળી સફર
“સમુદ્ર માત્ર વેપારનો માર્ગ નથી, પરંતુ વિકાસ અને સંભાવનાઓનું દ્વાર છે.” રાજ્યમાં ખેતી પછી આશરે 5.5 લાખથી વધુ સાગર ખેડૂત (માછીમાર) અને તેમના પરિવારો દરિયા અને જળસ્રોતો પર નિર્ભર છે, જે દેશની બ્લૂ ઈકોનોમીનો મહત્વપૂર્ણ આધાર છે. ભારત દર વર્ષે 5 એપ્રિલે રાષ્ટ્રીય મેરીટાઇમ દિવસ ઉજવે છે. આ દિવસ ભારતીય સમુદ્રી ઇતિહાસ અને શિપિંગ ઉદ્યોગના ગૌરવપૂર્ણ પ્રારંભને યાદ કરાવે છે. 5 એપ્રિલ, 1919ના રોજ ભારતીય માલિકીનું પ્રથમ જહાજ ‘SS Loyalty’ મુંબઈથી લંડન સુધીના પ્રવાસે નીકળ્યું હતું, જે દેશના શિપિંગ ક્ષેત્ર માટે ઐતિહાસિક માઈલસ્ટોન બની રહ્યું.
ભારતના કુલ આંતરરાષ્ટ્રીય વેપારમાંથી લગભગ 90 ટકા વેપાર સમુદ્ર માર્ગ દ્વારા થાય છે. બંદરો, શિપિંગ, માછીમારી અને દરિયાઈ સુરક્ષા — આ ચારેય ક્ષેત્રો દેશની આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમુદ્રી માર્ગ દ્વારા થતો વેપાર દેશને વૈશ્વિક અર્થતંત્ર સાથે મજબૂત રીતે જોડે છે. ગુજરાત રાજ્ય મેરીટાઇમ ક્ષેત્રમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. નવિનતમ સર્વે મુજબ રાજ્યનો દરિયાકાંઠો 2340.62 કિમી જેટલો લાંબો છે, જે દેશના સૌથી લાંબા દરિયાકાંઠાઓમાંનો એક છે. કંડલા (દીનદયાળ બંદર), મુન્દ્રા અને પિપાવાવ જેવા અદ્યતન બંદરો રાજ્યના વેપારને નવી ઊંચાઈ આપે છે. આ બંદરો દ્વારા મોટા પ્રમાણમાં આયાત-નિકાસ થવાથી રાજ્યની આર્થિક સમૃદ્ધિમાં નોંધપાત્ર વધારો થયો છે.
ગાંધીનગરમાં આવેલી ‘ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી’ સમુદ્રી ક્ષેત્ર માટે કુશળ માનવબળ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સંસ્થા દ્વારા યુવાનોને મેરીટાઇમ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવે છે. દરિયાથી દુર પાટનગર રાજ્યના સમુદ્રી વિકાસ માટેનું નીતિગત કેન્દ્ર છે. અહીંથી લેવાતા નિર્ણયો સમગ્ર ગુજરાતના બંદરો અને વેપારને દિશા આપે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘સાગરમાળા પ્રોજેક્ટ’અને ‘Maritime India Vision 2030’ જેવી પહેલો હાથ ધરવામાં આવી છે. આ યોજનાઓના માધ્યમથી બંદરોનું આધુનિકીકરણ, લોજિસ્ટિક્સમાં સુધારો અને કનેક્ટિવિટી વધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ પગલાં ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વધુ મજબૂત બનાવશે અને રોજગારની નવી તકો ઊભી કરશે. રાષ્ટ્રીય મેરીટાઇમ દિવસ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ સમુદ્ર સાથે જોડાયેલા આપણા ગૌરવશાળી ઇતિહાસ અને ભવિષ્યની સંભાવનાઓને ઓળખવાનો અવસર છે. આ દિવસ આપણને સમુદ્રી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા અને યુવાનોને તેમાં જોડાવા પ્રેરણા આપે છે.

