ગાંધીનગર જિલ્લાની શાળાઓમાં ચૂંટણી અંતર્ગત ‘સ્વીપ’ કાર્યક્રમ હેઠળ મતદાર જાગૃતિ અભિયાનનો ધમધમાટ
ગાંધીનગર જિલ્લામાં આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬, રવિવારના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ગાંધીનગર દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે.
ભારતના ચૂંટણી પંચના SWEEP (Systematic Voters’ Education and Electoral Participation) કાર્યક્રમ અંતર્ગત, જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં તા. ૧૩/૦૪/૨૦૨૬ થી ૨૬/૦૪/૨૦૨૬ દરમિયાન વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓ મારફતે તેમના વાલીઓ અને સમગ્ર સમાજમાં મતદાન પ્રત્યે સકારાત્મક વાતાવરણ ઉભું કરવાનો અને લોકશાહીના આ પર્વમાં સૌની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. જિલ્લા સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલા કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા નીચે મુજબ છે:
તા. ૧૩/૦૪/૨૦૨૬(સોમવાર): અભિયાનનો પ્રારંભ થશે. શાળાની પ્રાર્થના સભામાં તમામ વિદ્યાર્થીઓ મતદાનના શપથ લેશે અને વાલીઓને આપવા માટે ‘વાલી સંકલ્પ પત્ર’ નું વિતરણ કરવામાં આવશે. તા. ૧૫/૦૪/૨૦૨૬(બુધવાર): વિદ્યાર્થીઓ માટે નિબંધ, વકતૃત્વ અને સૂત્રલેખન (સ્લોગન) સ્પર્ધાનું આયોજન થશે. તા. ૧૬/૦૪/૨૦૨૬ (ગુરુવાર): ‘ટેકનિકલ જાગૃતિ’ દિવસ. Electoral Literacy Clubs (ELC) દ્વારા વિદ્યાર્થીઓને EVM અને VVPAT મશીનની કાર્યપદ્ધતિ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવશે. તા. ૧૭/૦૪/૨૦૨૬ (શુક્રવાર): ‘લોકશાહીનું પર્વ’ વિષય પર ચિત્રકલા અને પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજાશે.
તા. ૧૮/૦૪/૨૦૨૬(શનિવાર): ‘સર્જનાત્મક દિવસ’ તરીકે ઉજવાશે, જેમાં મતદાન જાગૃતિના સંદેશ સાથે રંગોળી અને મહેંદી સ્પર્ધા યોજાશે. તા. ૨૦/૦૪/૨૦૨૬ (સોમવાર): વાલીઓએ સહી કરેલા ‘સંકલ્પ પત્રો’ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં પરત જમા કરાવવામાં આવશે. તા. ૨૧/૦૪/૨૦૨૬ (મંગળવાર): શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટકો અને જાગૃતિ ગીતો પ્રસ્તુત કરવામાં આવશે. તા. ૨૩/૦૪/૨૦૨૬(બુધવાર): સ્થાનિક વિસ્તારમાં ‘જન જાગૃતિ રેલી’ અને ‘માનવ સાંકળ’ નું આયોજન કરવામાં આવશે. તા. ૨૬/૦૪/૨૦૨૬ (રવિવાર): ‘ચૂંટણી દિવસ’ – “અવસર- લોકશાહીનો” :
અચૂક મતદાન દિવસ. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તમામ શાળાઓને આ તમામ પ્રવૃત્તિઓના ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટોગ્રાફ્સ અને વીડિયો લેવા, તેમજ દૈનિક અહેવાલ કચેરીના નોડલ અધિકારીને ઈ-મેઈલ દ્વારા અથવા નિયત કરેલી લિંક પર અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે. આ કાર્યક્રમને અત્યંત ગંભીરતાથી લેવા અને તેમાં કોઈ પણ સ્તરે શિથિલતા ન રાખવા કડક આદેશો આપવામાં આવ્યા છે. ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક જોડાવવા અને તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

