મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરેલી વધુ એક અસરકારક રજૂઆતને મળી સફળતા
ભાવનગર જિલ્લાના ખેડૂતો અને ગ્રામજનોની ઉનાળા દરમિયાન ઉદભવતી પાણીની સમસ્યાને વાચા આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક અત્યંત લોકહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નર્મદા અને જળ સંપત્તિ વિભાગ દ્વારા ભાવનગરના લાખણકા ડેમમાંથી પાણી છોડીને નીચાણવાસમાં આવેલા અધેવાડા તથા માલણકા ગામના ચેકડેમો ભરી આપવાની મંજૂરી આપવામાં આવી છે.
ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ શ્રી ભરતભાઈ માણીયા (તલવાર) દ્વારા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને આ વિસ્તારમાં પાણીની સમસ્યા બાબતે અવગત કરાવવામાં આવ્યા હતા. મંત્રીશ્રીએ આ પ્રશ્નને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સમક્ષ ત્વરિત અને યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી તથા પાણી પુરવઠા મંત્રીશ્રીને કરેલી આ રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપતા રાજ્ય સરકાર દ્વારા લાખણકા ડેમમાંથી ૧૬ MCFT પાણીનો જથ્થો છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ જનહિતલક્ષી નિર્ણય બદલ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરના ખેડૂતો અને ગ્રામજનો વતી મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો હતો.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ડેમના દરવાજામાંથી પાણી છોડીને નીચવાસમાં આવેલા અધેવાડા અને માલણકા ગામના ચેકડેમો ભરવામાં આવશે, જેનાથી સ્થાનિક ખેતી અને પશુપાલનને મોટો ફાયદો થશે. આ નિર્ણયથી ઉનાળાની સિઝનમાં પાણીની ખેંચ અનુભવતા આ વિસ્તારોમાં જળ સ્તર ઊંચા આવશે અને સ્થાનિકોને મોટી રાહત મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં હર્ષભેર વધાવી લેવામાં આવ્યો છે.

